સંગઠનના બદલે એક પરિવારના નેતાના આધારે ચૂંટણી જીતવાની મનોવૃતિ કોંગ્રેસને અસ્તિત્વ પર ખતરા તરફ દોરી ગઈ.
@હિમ્મતભાઈ ઠક્કર, ભાવનગર
તાજેતરમાં દેશના જે પાંચ રાજ્યોની ચૂંટણી યોજાઈ તેના પરિણામોનું વિશ્લેષણ કરીએ તો જણાશે કે દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસને ભાગે વધુને વધુ ગુમાવવાનું આવ્યું છે અને ડાબેરીઓને એકમાત્ર કેરળ જાળવીને સંતોષ માનવો પડ્યો છે. એક જમાનામાં એટલે કે ૧૯૮૪ની ચૂંટણીમાં ૪૧૫ બેઠકો જીતનાર કોંગ્રેસ લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં માત્ર ૪૪ અને ૨૦૧૯માં ૫૨ બેઠકોમાં સમેટાઈ ગઈ છે. ૧૩ રાજ્યોમાં કોંગ્રેસના એક પણ પ્રતિનિધિ લોકસભામાં જઈ શક્યા નથી. પહેલા લોકસભામાં વટથી ચૂંટાનારા મહાનુભાવોને રાજ્યસભામાં પહોંચવાના પણ ફાંફા પડે છે. આ એક વાસ્તવિકતા છે. હકિકત છે પાંચ રાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે ઘણાને એવી આશા હતી કે આ રાજ્યોમાં કોંગ્રેસને થોડી આશ્વાસનની ફાંકી તો મળશે પણ એવું બન્યું નથી. બંગાળમાં ૯૨ બેઠકો લડવા છતાં કોંગ્રેસને માત્ર એક જ બેઠક અને ૯ ટકા મત મેળવી સંતોષ માનવો પડ્યો છે. જ્યારે તેના હાથમાં જે એકમાત્ર નાનું રાજ્ય હતું તે પોંડીચેરીમાં પ૩થમ વખત એનડીએ એટલે કે ભાજપ અને તેના સાથી પક્ષ રંગરાજનના પક્ષની સત્તા આવી છે. જાે કે પોંડીચેરીના જે ૧૭ સભ્યો એન.ડી.એ.ના ચૂંટાયા છે તેમાંના ૧૫ તો કોંગ્રેસ છોડીને આવેલા છે. તેમાંના મૂળ ભાજપના તો માત્ર છ જ છે. આમ પોતાના પક્ષના અમીચંદોના પાપે કોંગ્રેસ ત્યાં પોતાની સત્તા જાળવી શકી નથી તે નોંધનીય બાબત ગણી શકાય. જ્યારે પક્ષ તૂટ્યો ત્યારે ત્યાં ડેમેજ કન્ટ્રોલ કરવામાં પણ કોંગ્રેસની વર્તમાન નેતાગીરી સંપૂર્ણ પણે નિષ્ફળ ગઈ હતી તે પણ વાસ્તવિકતા છે.
જ્યારે દક્ષિણના બીજા સૌથી મહત્વના ગણાતા રાજ્ય કેરળમાં છેલ્લી નવ ચૂંટણીથી એક ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત યુડીએફ જીતે અને એક ચૂંટણીમાં ડાબેરીઓ જીતે તે પ્રકારનો ક્રમ ચાલુ રહ્યો છે. ટુંકમાં દર પાંચ વર્ષે સત્તા બદલાતી રહેતી હતી. હવે વિશ્લેષકો કહે છે તે પ્રમાણે ત્રીસેક વર્ષ કરતા વધુ સમયના લાંબા ગાળાબાદ પ્રથમ વખત એવું બન્યું છે કે ત્યાં એકનો એક પક્ષ એટલે કે ડાબેરીઓ બીજીવાર સત્તા પર આવ્યા છે કોંગ્રેસ પ્રેરિત મોરચામાં નવ પક્ષો છે અને ૧૪૦ પૈકી ૯૧ જેટલી બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારો મૂક્યા હતા. યુડીએફનો વડીલ અને સૌથી જૂનો પક્ષ છે. લોકસભાની ૨૦૧૯માં યોજાયેલી ચૂંટણી સમયે ત્યાં યુડીએફને ૨૦ પૈકી ૧૨ બેઠકો મળી હતી જેમાં ૭ બેઠકો તો કોંગ્રેસને જ મળી હતી. વિજેતાઓમાં વાયોનાડની બેઠક પરથી વિજેતા બનેલા કોંગ્રેસના યુવરાજ અને ફરી પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ બનવા થનગની રહેલા રાહુલ ગાંધીનો પણ સમાવેશ થાય છે. રાહુલ ગાંધીએ કેરળની ચૂંટણી પર બરાબર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. ત્યાં અન્ય કોઈ રાજ્યો કરતાં વધુ પ્રચાર કર્યો હતો. પરંતુ જે પરિણામો જાહેર થયા તેના પરથી એટલું ચોક્કસ કહી શકાય કે ત્યાં ડાબેરીઓએ પોતાની કુલ બેઠકોમાં આઠ બેઠકોનો ઉમેરો કરી સત્તા જાળવી છે. કોંગ્રેસની પોતાની વ્યક્તિગત તાકાત ઘટી છે. ૨૦૧૯માં યુડીએફને ૧૪૦ પૈકી ૯૦ કરતા વધુ વિધાનસભા બેઠકો પર સરસાઈ મળી હતી. પરંતુ આ વખતે તેને ૫૫ આસપાસ બેઠકો જીતીને સંતોષ માનવો પડ્યો છે. ટુંકમાં ૨૦૧૯ કરતા પણ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની તાકાત ઘટી છે. એક અહેવાલ પ્રમાણે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીનો જે મત વિસ્તાર વાયોનાડ છે ત્યાં પણ માત્ર ૫૦ ટકા બેઠકો મેળવી સંતોષ માનવો પડ્યો છે. હા વાયનાડમાં મળેલા કુલ મતોમાં યુડીએફના મત ડાબેરીઓ કરતા થોડા વધુ છે તેટલો આત્મસંતોષ મેળવવો પડ્યો છે. કેરળના મતદારો સૌથી વધુ શિક્ષિત છે. હવે કેટલાક કોંગ્રેસીઓ એવું કહે છે કે અમે ત્યાં ભાજપનું ખાતુ ખોલવા દીધું નથી. વાત સાચી છે એક બેઠક હતી તે પણ ચાલી ગઈ છે. મેટ્રોમેન શ્રીધરનનો જાદુ ચાલ્યો નથી પોતે પણ હારી ગયા છે. ખ્રીસ્તી વત્તા હિન્દુ મતોનું ધૃવીકરણ કરવાનો જે પ્રયાસ કરેલો તે પણ સફળ થયો નથી. અથવા તો તેમાં તેને જબરદસ્ત પછડાટ મળી છે. જાે કે આતો કોંગ્રેસને માત્ર સંતોષ લેવા જેવી વાત છે. સવાલ એ છે કે આમાંથી કોંગ્રેસને શું મળ્યું ?
કેરળ પછી બીજું રાજ્ય આસામ છે જ્યાં આ વખતે કોંગ્રેસે પોતાની બધી તાકાત કામે લગાડી હતી. કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી તો ત્યાં પ્રચારમાં ગયા જ હતા પરંતુ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ આસામ પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. ચાના બગીચાના કર્મચારીઓ સહિતના સમાજના નાનામાં નાના વર્ગના સંપર્ક કર્યો હતો. ચાના બગીચામાં કામ કરતા મજૂરો સાથે કામ પણ કર્યું હતું અને ભોજન પણ કર્યું હતું જાે કે ભાજપના નેતાઓ આને કોંગ્રેસની રાજકુમારીના નાટક તરીકે જ ગણાવતા હતા. આસામમાં ૨૦૧૬ની ચૂંટણીમાં ભાજપની સત્તા આવી તે પહેલા છેલ્લી ત્રણ કે ચાર ચૂંટણીથી ત્યાં કોંગ્રેસની સત્તા હતી અને ગોગોઈ મુખ્યમંત્રી હતા. આસામમાં જેટલી ચૂંટણી યોજાઈ તેમાં જાેકે ત્રણ ચૂંટણી જ એવી હશે જેમાં કોંગ્રેસનું શાસન આવ્યું હોય આ પહેલા ૧૯૮૦ના દાયકામાં આસામમાં બાંગ્લાદેશના ઘુસણખોરોના મામલે આંદોલન થયું અને આ આંદોલનની આગેવાની પ્રફુલકુમાર મહંતો અને ભૃગુકુમાર ફુકાને લીધી હતી તેોએ ત્યાં આંદોલન બાદ આસામ ગણ પરિષદ નામના પક્ષની રચના કરી હતી અને ૧૯૮૦ના દાયકામાં એક વખત નહિ પરંતુ બે વખત સત્તા કબ્જે કરી હતી. ૨૦૧૬માં ભાજપની સત્તા આવી ત્યારે કેન્દ્રનું મંત્રી પદ છોડી રાજ્યના મુખ્યમંત્રી બનેલા સોનાપણે પણ આસામના આંદોલનમાંથી આગળ આવેલા નેતા છે. પહેલા તેઓ આસામ ગણ પરિષદમાં હતા હાલ તેઓ ભાજપમાં છે. કોંગ્રેસે બધી તાકાત કામે લગાડવા છતાં આસામ મળ્યું નથી.
હવે તમિલનાડુમાં તો તેને ડીએમકેની આંગળી પકડીને ૩૦ આસાપાસ બેઠકો લડી ૧૫ આસપાસ બેઠકો મળી છે. ટુંકમાં ઘણા વિશ્લેષકો કહે તે પ્રમાણે પહેલા કોંગ્રેસ અન્નાડીએમકેના જયલલિતાનો પાલવ કે કરૂણાનીધિની લૂંગી પકડીને કોંગ્રેસ તમિલનાડુમાં હાજરી પૂરાવતી હતી. આ વખતે ડીએમકેના નેતા સ્ટાલિનની લૂંગીનો છેડો પકડી કોંગ્રેસે તામિલનાડુમાં હાજરી પૂરાવી છે. સુપર સ્ટાર રજનીકાંત તો રાજકારણમાં આવ્યા જ નહિં જ્યારે અલગ નવા પક્ષ સાથે ચૂંટણી લડનાર બીજા લોકપ્રિય ફિલ્મ અભિનેતા કમલાહસન પણ ગાજ્યા એવા વરસ્યા નહિ. ભાજપના જાેડીદાર પક્ષ અન્ના ડીએમકે પોતાનું વિપક્ષ તરીકે સ્થાન ટકાવવામાં સફળ થયેલ છે બસ આટલો સંતોષ ભાજપ લઈ શકે જ્યારે કોંગ્રેસનો સાથીદાર પક્ષ કે ભાગીદાર પક્ષ ડીએમકે ત્યાં સત્તા પર છે. એટલો જ સંતોષ આ પક્ષ લઈ શકે તેમ છે.
ટૂંકમાં જાેઈએ તો પશ્ચિમ બંગાળમાં હારનાર ડાબેરી મોરચાએ કેરળ તો ટકાવ્યું તેવો સંતોષ લઈ શકશે પણ કોંગ્રેસ તો પશ્ચિમ બંગાળમાં ૪૦ બેઠકો ગુમાવનાર પક્ષ બની ગયો છે. ડાબેરીઓના ટેકાથી ખાતુ માંડ ખોલાવી શક્યો છે. પોંડીચેરી ગૂમાવ્યું છે ત્યાં મુખ્ય વિરોધ પક્ષ બન્યાનું આશ્વાસન રહેશે. જ્યારે આસામમાં તેની મહેનત ફળી નથી અને ભાજપને બીજી વખત સત્તાપર આવતા રોકી શક્યો નથી. કેરળમાં ૨૦૧૯ કરતા તાકાત ઘટી છે. હવે યુડીએફના માળખા પર પણ આ હારની અસર થવાની જ છે. આ બધા સંજાેગો વચ્ચે કોંગ્રેસની હાલત વધુ કફોડી બની રહી છે. તેતો નોંધવું જ પડે તેમ છે. ટુંકમાં કોંગ્રેસની હાલની નેતાગીરી સામે તેના પક્ષમાં જ જે ૨૩ નેતાઓએ અવાજ ઉઠાવ્યો છે અને ગાંધી પરિવાર સામે સીધો આ આડકતરો રોષ ઠાલવ્યો છે તે મજબૂત બનેલ છે.