આસામ કોંગ્રેસના અધ્યક્ષ રિપુન બોરાના રાજીનામા બાદ પૂર્વોત્તર રાજ્યમાં રાજકીય ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. બોરાએ પાર્ટી છોડ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ ચૂંટણી સહિત વિવિધ બાબતોને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે, જો આવતીકાલે રાજ્યસભાની ચૂંટણી થશે તો કોંગ્રેસના ધારાસભ્યો તેમને મત આપશે. પાર્ટી છોડ્યા બાદ બોરાએ આરોપ લગાવ્યો હતો કે આસામ કોંગ્રેસના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટી સરકાર વચ્ચે ગુપ્ત તાલમેલ છે.
પોતાના રાજીનામા પત્રમાં બોરાએ કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો પર સીએમ સરમાની મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે રાજ્ય એકમમાં મતભેદોને પાર્ટી છોડવાનું સૌથી મોટું કારણ ગણાવ્યું હતું. કોંગ્રેસ સાથે લગભગ ચાર દાયકાના સંબંધો તોડીને તેઓ રવિવારે મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા.
સરમાએ કહ્યું, ‘એ વાત સાચી છે કે કોંગ્રેસના 9-10 ધારાસભ્યોએ અમને મત આપ્યો છે અથવા રાજ્યસભાની ચૂંટણીમાં મદદ કરી છે અને જો આવતીકાલે ફરીથી રાજ્યસભાની ચૂંટણી થશે તો તેઓ મને મદદ કરશે. તમે તેને તેમનો વિશ્વાસઘાત કહો કે મારા પ્રત્યેનો પ્રેમ, સત્ય એ છે કે આવતીકાલે રાજ્યસભાની ચૂંટણી થશે તો તેઓ મને ફરીથી મદદ કરશે.
રવિવારે ટીએમસીમાં જોડાયા બાદ બોરાએ આસામ કોંગ્રેસના નેતાઓ પર રાજ્યસભા ચૂંટણી હારી જવાનો આરોપ લગાવ્યો હતો. બોરાને કોંગ્રેસ દ્વારા રાજ્યસભા માટે ફરીથી નામાંકિત કરવામાં આવ્યા હતા. તેઓ આસામમાં વિરોધ પક્ષોના સંયુક્ત ઉમેદવાર હતા. જોકે બોરાને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
સીએમ સરમાએ કહ્યું, ‘મેં કોંગ્રેસમાં 22 વર્ષ વિતાવ્યા હોવાથી, એ વાત સાચી છે કે રિપુન બોરા સહિત લગભગ તમામ કોંગ્રેસી નેતાઓ મારી નજીક છે. કોંગ્રેસના ઘણા નેતાઓ અને ધારાસભ્યો છે, જેઓ ભાજપમાં જોડાવા માંગે છે, તો તેઓ અમારી સાથે જોડાવા માંગે છે. આપણે તેમના માટે જગ્યા બનાવવી પડશે. “…તેઓ કહે છે કે કોંગ્રેસમાં કોઈ ભવિષ્ય નથી. આ એક વિકસતી સ્થિતિ છે, તમે જોશો કે ઘણા વધુ લોકો કોંગ્રેસ છોડે છે.
આ પણ વાંચો : 26 મેના રોજ મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થશે: એક પક્ષીય રિપોર્ટ કાર્ડ તૈયાર થઈ રહ્યું છે