દિલ્હી,
આરજેડી સુપ્રીમો લાલુ યાદવની મુશ્કેલીઓ વધતી જતી જોવા મળી રહી છે.એક બાજુ ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવને કોર્ટે દોષિત માન્યા છે. તો બીજી તરફ લાલુના પુત્રી મીસા ભારતી પર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. લાલુના પુત્રી મીસા અને જમાઈ શૈલેશ કુમારના નિવાસ સ્થાન પર ૮ જુલાઈએ ઈડી(એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ)એ રેડ કરી હતી.એ પછી દીલ્હીની અદાલતમાં ઈડીએ મીસા ભારતી અને પતિ શૈલેશ પર મની લોન્ડરિંગ(પૈસા ની અવૈધ હેરફેર) મામલે ચાર્જશીટ દાખલ કરી છે.
નોંધનીય છે કે ૮ જુલાઈએ ૮૦૦૦ કરોડ રૂપિયાની બેનામી સંપતિ પર ઇડીના અધિકારીયોએ શૈલેશ કુમારની ૮ કલાક સુધી પૂછપરછ કરી હતી,
હવે દિલ્હીના પટીયાલા હાઉસ કોર્ટમાં આ અંગેની સુનવણી શરુ થશે. મીસા પર એ પણ આરોપ છે કે ૨૦૦૮-૨૦૦૯ માં જયારે લાલુ યાદવ રેલમંત્રી હતા, ત્યારે મીસા એ બોગસ કંપનીઓ દ્વારા નાણા મેળવ્યા હતા.
આ સિવાય સપ્ટેમ્બરમાં તપાસ એજન્સીએ દિલ્હીમાં મીસાના ફાર્મ હાઉસને પણ સીલ કર્યું હતું. આ ફાર્મ હાઉસ મીસા અને શૈલેશના ફર્મે ૮ વર્ષ પહેલા ૧.૨ કરોડ માં ખરીદ્યું હતું. મીસા પર લાગેલા આરોપ મુજબ આ ૧.૨ કરોડ રૂપિયા બોગસ કંપનીઓના શેર જૈન બ્રધર્સને વેચી તે પૈસાથી આ ફાર્મ હાઉસ ખરીદવામાં આવ્યું હતું.
ઈડીના સુત્રો, મુજબ જૈન બ્રધર્સ બીરેન્દ્ર કુમાર અને સુરેન્દ્ર કુમાર મોટા નેતાઓ અને તેમના પરિવારના કાળા નાણાને શેલ કંપની દ્વારા સફેદ કરવાના કામ પર કમીશન વસુલતા હતા. આ આરોપ હેઠળ બંને અત્યારે જેલમાં છે. ઈડી એ ૮૦૦૦ કરોડની બેનામી સંપતિ અંગે મીસાના CA રાજેશ અગ્રવાલની પણ ધરપકડ કરી છે.