ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે પાર્ટી રાજ્યમાં ભાજપની નિષ્ફળતાઓ ગણવા માટે ‘ચાર્જશીટ’ જારી કરવા જઈ રહી છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ગુજરાત પ્રભારી રઘુ શર્માએ સોમવારે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે પાર્ટી આ ચાર્જશીટ જિલ્લાવાર અને મતવિસ્તારમાં જારી કરશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે અને હાલ રાજ્યમાં ભાજપની સરકાર છે.
રાજકોટમાં પત્રકારો સાથે વાત કરતા શર્માએ જણાવ્યું હતું કે, “અમે સ્થાનિક મુશ્કેલીઓને ઓળખી રહ્યા છીએ. અમે ભાજપ સરકાર સામે વિધાનસભા મુજબ અને જિલ્લાવાર ચાર્જશીટ જારી કરીશું. અમારા ચૂંટણી ઢંઢેરાના માધ્યમથી અમે ગુજરાતની જનતાને ખાતરી આપીશું. કે જો કોંગ્રેસની સરકાર આવશે, તો અમે તે સમસ્યાઓનો કેવી રીતે સામનો કરીશું.
નોંધનીય છે કે, શર્મા જિલ્લા કક્ષાની ચિંતન શિબિરમાં હાજરી આપવા રાજકોટ પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં AICC સેક્રેટરી રામકિશન ઓઝા પણ હાજર હતા. ઓઝા પણ ગુજરાતના પ્રભારી છે. ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યો અને પક્ષના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
શર્માએ વધુમાં કહ્યું, “અહીં પીવાના પાણીની ભારે અછત છે. રાજકોટ જિલ્લામાં રસ્તાઓની હાલત ખરાબ છે. અને તેઓ આખા દેશમાં સ્વચ્છ ભારતના નારા લગાવે છે અને શૌચાલય બનાવવાની વાત કરે છે. એટલુ જ નહીં પરંતુ અહીંના લોકો પાસે પીવા માટે પાણી પણ નથી. અને ગામડાઓની નદીઓમાં નાળાનું પાણી વહી રહ્યું છે.
આ દરમિયાન શર્માએ રાજકોટના જેતપુરા તાલુકામાં આવેલા ડાઇંગ અને પ્રિન્ટીંગ યુનિટમાંથી સ્થાનિક નદીઓમાં કેમિકલ છોડવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. અને એમ પણ કહ્યું હતુ કે જયાં જીઆઈડીસી છે ત્યાં ખેડૂતોની જમીન બગડી રહી છે. નદીઓ પણ ખરાબ થઈ રહી છે. અમે ઉદ્યોગોના વિરોધમાં નથી પરંતુ સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે જ્યારે કારખાનાઓ સ્થપાય ત્યારે કચરાના નિકાલની પણ વ્યવસ્થા કરવામાં આવે.