રાજકોટમાં કોરોનાના નવા કેસો જે રીતે વધી રહ્યા છે તે જોતા કોરોના રાજકોટ પર કોપાયમાન થયો હોય તેવું લાગી રહ્યું છે. તેમજરાજકોટમાં કોરોના મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરમાં તમામ હોસ્પિટલો કોરોના દર્દીથી ઉભરાઇ છે. 24 કલાકમાં વધુ 55 દર્દીના મોત થતા આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મૂકાયું છે. છેલ્લા બે દિવસમાં રાજકોટમાં 114 દર્દીના મોત નીપજ્યાં છે. આથી હોસ્પિટલો મૃતદેહોથી ઉભરાઇ છે. શહેરની કોવિડ હોસ્પિટલોમાં કોરોના દર્દીઓના ટપોટપ મોત નીપજી રહ્યાં છે. રાજકોટમાં આજે બપોર સુધીમાં 302 કેસ નોંધાયા છે.રાજકોટમાં ગઇકાલે અધધ કહી શકાય તેમ 529 કેસ નોંધાયા હતા. શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 23668 પર પહોંચી છે. જ્યારે જસદણ જેવા નાનકડા ગામમાં મામલતદાર સહિત 90 લોકો કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગઇ છે. તાલુકા સેવાસદનમાં બેસતી કચેરીના ત્રણ કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
બેડી માર્કેટિંગ યાર્ડ પણ અનિશ્ચિત મુદત સુધી બંધ, જ્યારે કોરોનાની ચેઈન તોડવા માટે કેટલાક ધંધાઓ ત્રણ દિવસ બંધ
કોરોનાને પગલે બેડી માર્કેટિંગ યાર્ડ પણ અનિશ્ચિત મુદત સુધી બંધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન ડી.કે. સખિયા પણ તેમના પૌત્ર સાથે કોરોના સંક્રમિત થયા છે. બે દિવસ પૂર્વે જ તેઓ કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાને વેક્સિનેશન કેમ્પમાં મળ્યા હતા.
રાજકોટમાં દાણાપીઠમાં વેપારીઓનું આવતીકાલે ગુરુવારે તારીખ 15 એપ્રિલથી રવિવારે 18 એપ્રિલ અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. એવું દાણાપીઠ એસોસિયેશનના પ્રમુખ બિપીનભાઈ કેસરિયા જણાવ્યું છે.હોલસેલ અને રીટેલ 250 દુકાનો બપોરે સવારે 9 થી બપોરે ૩ વાગ્યા સુધી બંધ રહેશે.
રાજકોટ એસટી ડેપોમાં 96 મુસાફરોને કોરોના સંક્રમણ હોવાનું સામે આવ્યું છે તેમજ ડેપો મેનેજર પણ હોમ આઇસોલેટ થયા છે. જેના પગલે સમગ્ર એસટીમાં સોપો પડી ગયો છે.
રાજકોટ કોરોનાના કેસ વધતા કોસ્મેટિક એસોસિએશન દ્વારા લેવાયો નિર્ણય,મિલપરા વિસ્તારમાં આવેલ તમામ કોસ્મેટિક્સની દુકાનો કરશે લોકડાઉન કોસ્મેટિક એસોસિએશન માત્ર સવારના 9થી બોપરના 3 વાગ્યા સુધી દુકાનો રાખશે ખુલ્લી,કોસ્મેટિક એસોસિએશનના પ્રમુખ સુનિલભાઈ સુરાણીએ કરી જાહેરાત
આ ઉપરાંત રાજકોટના ગોલ્ડ ડીલર એસોસીએશનના પ્રભુદાસભાઈ પારેખ અને ભાયા ભાઈ સાહોલિયા દ્વારા કોરોના સંક્રમણ નીચે તોડવા માટે ત્રણ દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે શુક્ર શનિ રવિ એટલે કે 16 થી 18 એપ્રિલ રાજકોટના જ્વેલર્સ બંધ પાળશે.
કોરોનાની ચેઇન તોડવા માટે રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા 3 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. 16, 17 અને 18 એપ્રિલ એમ ત્રણ દિવસ સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટના 700 જેટલા ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ 3 દિવસ પરિવહન બંધ રાખશે. આથી ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓને 3 દિવસમાં લાખો રૂપિયાનું નુકસાન પહોંચશે.
ગૌરીદળ ગામે સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવશે. આગામી 16થી 21 સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવશે. કોઈ પણ ગ્રામજન દુકાન ખોલશે તો તેની પાસેથી 1000 રૂ.નો દંડ વસુલવામાં આવશે.
7 લોકો સામે જાહેરનામા ભંગ બદલ પોલીસ ફરિયાદ
રાજકોટ મનપાની તપાસમાં નિયમ ભંગ કરતા 7 લોકો સામે જાહેરનામા ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં કન્ટેનમેન્ટ અને માઈક્રો કન્ટેનમેન્ટમાં તપાસ કરતા લોકો જાહેરનામાંનો ભંગ કરીને ખુલ્લેઆમ ફરી રહ્યાં હતા. આ લોકો વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં 3, ભક્તિનગર અને આજીડેમ પોલીસ સ્ટેશનમાં બે-બે ફરિયાદ નોંધાઇ છે.હાલ રાજકોટ શહેર- જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના મળીને કુલ 3044 બેડ કાર્યરત છે. હાલ 2858 દર્દીઓ સારવાર હેઠળ છે તેમજ 186 બેડ ઉપલબ્ધ હોવાનું જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…