રાજ્યમાં દિવસેને દિવસ કોરોનાના કેસમાં ઉછાળો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાઇ રહ્યા છે. કોરોના કેસનો આંકડો આજે 2000ને પાર પહોંચતા ચિંતા વધી છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 2252 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાયરસના કારણે 8 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રીટે 97 ટકા સુદી પહોંચી ગયો હતો જે ગગડીને 94.54 ટકા સુધી આવી ગયો છે અને લગભગ 2000થી ઓછા એક્ટિવ કેસની વચ્ચે પહોંચી ગયેલું રાજ્ય આજે કોરોનાના દર્દીઓથી ઉભરાઈ રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 દિવસથી રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. 27 માર્ચના રોજ રાજ્યમાં 2276 કેસ, 28 માર્ચે 2270 કેસ અને આજે 29 માર્ચે 2252 નવા કેસ નોંધાતા ચિંતામાં વધારો થયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં 677, અમદાવાદમાં 612, વડોદરામાં 236, રાજકોટમાં 242, ભાવનગરમાં 45, મહેસાણામાં 31, ખેડામાં 27, નર્મદામાં 26, જામનગરમાં 33, મોરબીમાં 25, પંચમહાલમાં 25, ગાંધીનગરમાં 44, અમરેલીમાં 19, કચ્છમાં 18, મહીસાગરમાં 17, આણંદમાં 16, સાબરકાંઠામાં 15, વલસાડમાં 14, સુરેન્દ્રનગરમાં 13, પાટણમાં 12 કેસ નોંધાયા છે.
આ ઉપરાંત અરવલ્લીમાં 9, જૂનાગઢમાં 14, ગીરસોમનાથમાં 8, દેવભૂમિ દ્વારકા, તાપીમાં 6-6, નવસારીમાં 5, બનાસકાંઠામાં 4, છોટાઉદેપુરમાં 4, બોટાદમાં 3, ડાંગમાં 3, પોરબંદરમાં 0 મળીને કુલ 2252 નવા કેસ નોંધવામાં આવ્યા છે. તો કુલ રિકવરી રેટ 1731 દર્દીઓનો નોંધાયો છે.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા લગભગ દિવાળીની સ્થિતિએ આવી ગઈ છે. આજની સ્થિતિમાં રાજ્યમાં 12041 એક્ટિવ કેસ છે જ્યારે 149 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અત્યારસુધીમાં કુલ 2,86,577 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે આજની સ્થિતિમાં 11,892 કેસ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 4500 દર્દીઓનાં મોત થયા છે.
આજે રાજ્યમાં અમદાવાદમાં 3, સુરતમાં 3 અને પંચમહાલ તેમજ રાજકોટમાં 1 મોત મળીને કુલ 8 દર્દીઓનાં કોરોના વાયરસે જીવ લીધા છે. રાજ્યમાં કોરોનાનાં એક્ટિવ કેસ વધવાના કારણે સરકારે અનેક પ્રતિબંધો મૂક્યા છે છતાં કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો નથી. દરમિયાનમાં આજે બપોરથી સુરત શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે જેનો અમલ આગામી 13મી એપ્રિલ સુધી રહેશે.