Surat News : સુરતમાં ચોમાસાને કારણે શહેરના અનેક રસ્તાઓ બિસ્માર થઈ ગયા હતા. જેને પગલે સ્થાનિક લોકો ભારે પરેશાન થઈ ગયા હતા. રસ્તા પર પડેલા ખાડા પર શાસકો- મ્યુનિસિપલ કમિશનર ફોટા મુકી વિરોધ પક્ષે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે બાદ ગુરૂવારે વિરોધ પક્ષે છેલ્લા ત્રણ વર્ષમાં રસ્તાની કામગીરી પાછળ 250 કરોડનો ખર્ચ થયો છે તેવા આંકડા જાહેર કરીને રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ કર્યા હતા.સુરત શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન રસ્તાની હાલત કફોડી થઈ જાય છે અને આ રસ્તાના કારણે સુરતીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
આ અંગે આજે પાલિકાના વિરોધ પક્ષના ઉપનેતા રસ્તાની કામગીરી અંગે માહિતી આપતા કહ્યું હતું કે ત્રણ વર્ષ દરમિયાન પાલિકાએ વર્ગ 3 અને 4 તેમજ સુપરવિઝન સ્ટાફના પગાર પાછળ અંદાજે 12 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત મશીનરીઓ ઉપયોગમાં લેવાય છે તેની પાછળ અંદાજે 14.79 કરોડ, રોડ રસ્તા મરામતમાં જે મટિરિયલ વપરાય છે તેની પાછળ અંદાજે 46.40 કરોડ તેમજ રોડ રસ્તા મરામત કરનારી વિવિધ એજન્સીઓને 26.80 કરોડ જેટલી માતબર રકમની ચુકવણી પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. કુલ મળીને પાછલા ત્રણ વર્ષના આ બધા આંકડા જોવા જઈએ તો 250 કરોડ જેટલો થવા જઈ રહ્યો છે.
જેમાં પણ ગત વર્ષે પાલિકાએ 98 કરોડ જેટલો ખર્ચ રસ્તા રિપેરિંગ પાછળ કર્યો હતો. જેમાં પાલિકા દ્વારા 5331 ચો. મી.રોડ રિપેરિંગ કરવામાં આવ્યાં હતાં. મતલબ કે એક ખોડો એક ચો.મી.નો ગણીએ તો 1,84,000 રૂપિયા નો અંદાજિત ખર્ચ ફક્ત ને ફક્ત એક ખાડા રિપેર કરવા પાછળ થયો છે. રસ્તાના ખાડા પુરવા પાછળ કરોડોનું આપણ થાય છે તો પણ આજે રોડ રસ્તાની હાલત ખરાબ જ છે, તો આ રૂપિયા ક્યાં જતા હશે તે સૌથી મોટો સવાલ છે. તેમ કરીને વિપક્ષના ઉપનેતા મહેશ અણઘડે શાસકો અને તંત્ર સામે આક્ષેપ કર્યા હતા.