સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એ.કે. ઔરંગાબાદકરના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ સ્કિલ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ‘CAREER’’ નામા પ્રોજેક્ટનો શુભારંભ કરાયો હતો. આ ઉપરાંત હેરિટેજ ડેવલેપમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી પણ આપવામાં આવી હતી.
આ બેઠકમાં સ્કીલ મિશન હેઠળ કેવી રીતે મહત્તમ લોકો સુધી લાભ પહોંચાડવાનું આયોજન કરી શકાય તે બાબત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં હેરિટેજ સાઇટનું આયોજનબદ્ધ રીતે પ્રવાસન સ્થળ માટે ડેવલોપ કરી શકાય તે બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘‘CAREER’’ નામા દ્વારા વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દી પસંદ કરવા માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ પોતાની અંદર રહેલી ઈચ્છા અને કૌશલ્યનું સંતુલન સાધીને શ્રેષ્ઠ કારકિર્દી પસંદ કરી શકશે. CAREER’’ નામા પ્રોજેક્ટની શરૂઆતમાં ૧૦ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને STEM – સાયન્સ, ટેકનોલોજી, એન્જીન્યરીંગ અને મેથેમેટીક્સની તાલીમ આપવામાં આવશે.
નોંધનીય છે કે, કારકિર્દીનામા એ ક્વેસ્ટ એલાયન્સ અને ડિસ્ટ્રિક્ટ સ્કિલ કમિટી-સુરેન્દ્રનગર વચ્ચે એમઓયુ (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપ પ્રોજેક્ટની સહયોગથી કરવામાં આવ્યા છે. આ એમઓયુ ડિસ્ટ્રિક્ટ સ્કિલ કમિટી-સુરેન્દ્રનગર અને ક્વેસ્ટ એલાયન્સ વચ્ચે કરવામાં આવ્યા હતા. ક્વેસ્ટ એલાયન્સ ડિજિટલ પ્લેટફોર્મ આધારિત છે. આ કોર્ષ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે કોમ્પ્યુટર પ્રોગ્રામ આધારીત તથા મોબાઈલ એપ્લીકેશન આધારિત એમ બંને રીતે ઉપયોગ કરી શકાશે. આ પ્રોજેક્ટમાં ઓડિયો-વિઝયુલ માધ્યમ દ્વારા તાલીમ આપવામાં આવશે. કોરોના મહામારીના કારણે બે વર્ષથી સ્કુલે ન જઈ શકનાર વિદ્યાર્થીઓ માટે “CAREER’’ નામા પ્રોજેક્ટ ખુબ જ ઉપયોગી સાબિત થશે.
આ બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર એસ.બી.પારજીયા, સુરેન્દ્રનગર આઈ.ટી.આઈ. ના પ્રિન્સિપાલ પરાગ શાહ, જિલ્લા રોજગાર અધિકારી જે.ડી.જેઠવા, નાબાર્ડના ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ મેનેજર, મહાત્મા ગાંધી નેશનલ ફેલોશીપ યોજનાના ફેલો શ્રી સલુની પરીખ, અતુલ્ય વારસો સંસ્થાના રોનક રાના, એમોક્ષ ઈન્ડસ્ટ્રીના જયેશ પટેલ, એસ.એસ.વ્હાઈટના કાઝમી પરીખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.