દિલ્હીથી જબલપુર જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટને ટેકઓફ કર્યા બાદ ટેક્નિકલ ખામી સર્જાતા આઈજીઆઈ એરપોર્ટ ટર્મિનલ-1 પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તે સમયે પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત 82 મુસાફરો સવાર હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ વિમાનમાં સવાર હતા, જેઓ જબલપુરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. બાદમાં કેન્દ્રીય મંત્રી સહિત અન્ય મુસાફરોને અન્ય પ્લેન દ્વારા રવાના કરવામાં આવ્યા હતા. સ્પાઈસ જેટ દ્વારા કેન્દ્રીય મંત્રી વિશે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.
સ્પાઈસ જેટના એસજી 2962 એ રવિવારે સવારે IGI એરપોર્ટથી જબલપુર માટે ઉડાન ભરી હતી. ટેક ઓફ કર્યા બાદ પાઈલટને ખ્યાલ આવ્યો કે પ્લેન ઉપર જઈ રહ્યું હોવા છતાં કેબિનનું દબાણ વધી રહ્યું નથી. પાયલોટે પ્લેનને છ હજાર ફૂટની ઉંચાઈ પર લઈ ગયા, પરંતુ માપદંડ મુજબ દબાણ ન હતું.
લગભગ 45 મિનિટ પછી, પાયલટે IGIના એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી અને વિમાનના ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી. આ માહિતી મળતાની સાથે જ એરપોર્ટ પર ફાયર બ્રિગેડ તેમજ અન્ય બચાવની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ સુરક્ષિત રીતે થયું. કોઈ મુસાફરને ઈજા થઈ નથી. જે બાદ એરપોર્ટ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.