- અમરેલીઃ મંદિરમાં પશુઓની બલિ ચડાવવામાં આવી
- બાબરાના નીલવડા ખાતે મેલડી માતાજી મંદિરની ઘટના
- મધરાતે ગર્ભગૃહમાં પ્રવેશી ચડાવી પશુની બલી
- ધાર્મિક લાગણી દુભાવવાના તત્વો સામે ફરિયાદ
- પશુની બલીની ઘટના CCTVમાં થઇ કેદ
અમરેલી જિલ્લાના નીલવડા રોડ પર આવેલા સુપ્રસિદ્ધ મેલડી માતાના મંદિરમાં 22 એપ્રિલ રાત્રે કેટલાક શખ્સોએ પશુ સાથે ગર્ભગૃહમાં પ્રવેશીને ગળું કાપીને બલિ ચઢાવતા લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ મામલામાં પોલીસે 10 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. આ મંદિર પાંચાળ પંથકમાં આસ્થાનું કેન્દ્ર છે. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.
અહીં માતાજીને કોઈએ પશુ બલિ ચઢાવવો નહીં તેવા બોર્ડ પણ ચારે તરફ લગાવવામાં આવેલા છે. અહીં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવલા છે. તેમ છતાં 22મીની મધરાતે અહી પશુ બલિની ઘટના બની હતી. રાજેશભાઇ જેઠવાએ આ મામલામાં બાબરાના લક્ષ્મણ મગનભાઇ ડાભી, વિહા નારણભાઇ, નારણ પાંચાભાઇ ઝિંઝુવાડિયા, સંજય ખોડુભાઇ કરકર, ભૂપત તળસીભાઇ ઝિંઝુવાડિયા, બચુ નારણભાઇ, દેવા ગભાભાઇ, બીજલભાઇ ડાભી અને અન્ય બે અજાણ્યા શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમા તેમણે જણાવ્યું છે કે તારીખ 22 એપ્રિલે મધરાતે મેલડી માતાના મુળ સ્થાનકે આ શખસોએ બોકડા જેવા દેખાતા પશુનો બલિ ચડાવ્યો હતો.
મધરાતે મંદિર બંધ હતુ ત્યારે આ શખસો જાળી ખોલીને અંદર પ્રવેશ્યા હતા અને ગર્ભગૃહમાં પશુને લઇ જઇ એનું ગળું કાપી બલિ ચડાવ્યો હતો.સીસીટીવી ફૂટેજમા આ તમામ શખ્સોની હરકત કેદ થતા પોલીસમા ફરિયાદ નોંધાવાઇ છે. બાબરા પેાલીસે આ અંગે કેટલાક શખ્સોને રાઉન્ડઅપ પણ કર્યા છે. આધુનિક યુગમા કેટલાક શખ્સોનો આવા કૃત્યથી લોકોની ધાર્મિક લાગણી દુભાતી હોય આવુ કૃત્ય કરનાર સામે ફિટકાર વરસી રહ્યો છે.
આ પણ વાંચો:દિવગંત ચિત્રકારનું `ધ બનયન ટ્રી’ નામનું પેઇન્ટિંગ આટલા કરોડમાં વેચાયું