નવી દિલ્હી,
છેલ્લા કેટલાક સમયથી બોલીવુડ કલાકારો રણવીર સિંહ અને દિપીકા પાદુકોણના લગ્નને લઇ અનેક અટકળો સામે આવી રહી હતી, પરંતુ હવે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે.
બોલીવુડના બંને સ્ટાર કલાકારોના લગ્નનું કાર્ડ છપાઈ ગયું છે અને તેઓના સાત ફેરા લેવાની તારીખ પણ સામે આવી છે.
અભિનેત્રી દિપીકા પાદુકોણે લગ્નનું કાર્ડ ઈન્સ્ટાગ્રામ પાર શેર કરતા જણાવ્યું હતું કે, “રણવીરની સાથે તે ૧૪ નવેમ્બરના રોજ ૭ ફેરા લેવા માટે જઈ રહી છે”.
બંને સ્ટાર્સના લગ્નકાર્ડ અંગે વાત કરવામાં આવે તો, લગ્નનું કાર્ડને સફેદ અને ગોલ્ડન કલરમાં જોવા મળી રહ્યું છે અને આ સાથે દિપીકાએ ફેન્સને મોટી સરપ્રાઈઝ પણ આપી છે.
લગ્નના કાર્ડમાં જણાવવામાં આવ્યું છે કે, અમે તમને કહેતા ખુબ જ ખુશી અનુભવીએ છીએ કે અમારા પરિવારના આશીર્વાદથી અમારા લગ્ન ૧૪ અને ૧૫ નવેમ્બર રોજ નક્કી થયા છે. ઘણો સારો પ્રેમ, દિપીકા અને રણવીર.
જો કે આ કાર્ડમાં તેઓના લગ્ન કઈ જગ્યાએ યોજવાના છે તે અંગે કોઈ વાત લખવામાં આવી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહ અને દિપીકા પાદુકોણ ૨૦૧૩થી એક બીજાને ડેટ કરી રહ્યા છે. “દીપવીર”ના કપલના નામથી પ્રખ્યાત આ સ્ટાર્સે બોલીવુડના રૂપેરી પડદે ઘણી સુપરહીટ ફિલ્મો કરી છે, જેમાં રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત શામેલ છે.