મુંબઈ
‘પરમાણુ’ ફિલ્મને લઈને અભિનેતા ‘જ્હોન અબ્રાહમ‘ની મુશ્કેલીઓ વધી રહી છે. જ્હોન અબ્રાહમ સામે પ્રેરણા અરોરાના પ્રોડક્શન હાઉસ ક્રિઅર્સે મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે, જેમાં કંપનીએ જ્હોન અબ્રાહમ પર પરમાણુ ફિલ્મને લઈ છેતરપીંડીથી લઈને ગંભીર આક્ષેપ કર્યા છે.
મળતી માહિતી પ્રમાણે આ મામલે પોલીસ ટૂંક સમયમાં જ જ્હોન અબ્રાહમની પૂછપરછ કરી શકે છે. જ્હોન અબ્રાહમની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘પરમાણુ’ વિવાદોમાં ફસાઈ છે. જેના કારણે ફરી એકવાર ફિલ્મની રીલીઝ ડેટ ટાળવામાં આવી છે. જ્હોન અબ્રાહમે ફિલ્મની કો પ્રોડ્યુસર પ્રેરણા અરોરાના પ્રોડક્શન હાઉસ સાથે પોતાનો કરાર રદ કર્યો છે. તેમજ પ્રોડક્શન હાઉસને એક નોટિસ પણ મોકલી છે.
ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી જ્હોન અને પ્રેરણા વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદના કારણે ફિલ્મની રીલીઝ ડેટ આગળ વધારીને હવે 4 મે કરી દેવામાં આવી છે. આ પહેલા ક્રિઅર્સ પ્રોડક્શન હાઉસને કેદારનાથ ફિલ્મના ડાયરેક્ટર અભિષેક કપુર સાથે પણ વિવાદ થયો હતો, જેનુ મુખ્ય કારણ નાણાંકીય બાબતોમાં મતભેદ અને પારદર્શીતાનો અભાવ માનવામાં આવી રહ્યો હતો. પ્રેરણા અરોરાનુ કહેવુ છે કે જ્હોન અબ્રાહમે તેને વ્યાપક નુકશાન પહોંચાડ્યુ છે.