નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા ખોટી રીતે કનગડત કરાતી હોવાની દસાડાના ખેડૂતોની રાવ
મોટી સંખ્યામાં ખેડૂતો સાથે ચુંટાયેલ પ્રતિનિધિઓ પહોંચ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના માલવણથી પસાર થતી માળીયા શાખા કેનાલ પર રાખેલ ખેડૂતોના બંધ મશીન નર્મદાના અધિકારી દ્વારા ઉઠાવતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો હતો અને ખેડૂતો મોટી સંખ્યામાં માલવણ સ્થિત નર્મદાની ઓફિસ ખાતે પહોંચ્યા હતા. ખેડૂતોની સાથે ચુંટાયેલા પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા ખોટી રીતે કનગડત ન કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી
માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના માલવણથી પસાર થતી નર્મદા કેનાલ પર છેલ્લા કેટલાક દિવસોથી નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા પોલીસને સાથે રાખી ગેરકાયદે પાણી લેનાર ખેડૂતો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે સંદર્ભે નર્મદા કેનાલના અધિકારી દ્વારા કામગીરી કરાઈ રહી છે ત્યારે ખેડૂતોના મશીન નર્મદા કેનાલ પાસે હતા.
તે દરમિયાન નર્મદા કેનાલના અધિકારીઓ દ્વારા મશીન ઉઠાવી લેવામાં આવ્યા હતા. જો કે ખેડૂતો પાણી લેતા ન હતા અને મશીન બંધ હતા છતાં નર્મદા કેનાલના અધિકારીઓ દ્વારા મશીન ઉઠાવી લેતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો હતો અને ખેડૂતો મોટી સંખ્યામાં માલવણ સ્થિત નર્મદા વિભાગની ઓફિસે પહોંચ્યા હતા અને બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી ખેડૂતોની સાથે ચૂંટાયેલ પ્રતિનિધિ સરપંચ અને સદસ્યો પણ પહોંચ્યા હતા.
ખેડૂતોના બંધ મશીન ઉઠાવી લેતા રોષ
નર્મદા માળિયા શાખા કેનાલ પર ખેડૂતો દ્વારા રવિ પાકની વાવેતર કર્યા છે. હાલ માવઠુ થવાથી નર્મદા કેનાલમાંથી કોઈ ખેડૂત પાણી સિંચાઇ માટે પાણી લેતો નથી કેનાલમાં પાણીનું લેવલ હોવુ જોઈએ તે બરોબર છે નર્મદાના અધિકારીઓ પોલીસ સાથે રાખીને ખેડૂતો ના બંધ મશીનોને લાખો રૂપિયાનુ નુકસાન કરતા હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા હતી.