અમેરિકામાં ચૂંટણી બાદ દેશને હવે નવા રાષ્ટ્રપતિ (જો બિડેન) મળી ગયા છે. જો કે આજે પણ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની હારનો સ્વીકાર કરી રહ્યા નથી. જણાવી દઇએ કે,આ વચ્ચે બિડેનનાં ભારત સાથેનાં કનેક્શનને લઇને ઘણા મિમ્સ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે. જણાવી દઇએ કે, અમેરિકાનાં નવા રાષ્ટ્રપતિ જો બિડેનનાં ભારત સાથેનાં જોડાણનો ખુલાસો થયો છે.
બિડેનનાં કેટલાક દૂરનાં સબંધીઓ 1873 થી મહારાષ્ટ્રનાં નાગપુરમાં રહેતા હોવાની વાત સામે આવી રહી છે. જો બિડેને 2013 અને 2015 માં ઘણીવાર આ વિશે ઉલ્લેખ પણ કર્યો છે. નાગપુરમાં બિડેન પરિવારનાં કેટલાક લોકોએ મંગળવારે આ દાવો કર્યો હતો. બિડેન જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સનાં વાઇસ પ્રેસિડેન્ટ હતા અને 2013 માં મુંબઇ આવ્યા હતા ત્યારે તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, તેમના કેટલાક દૂરનાં સંબંધીઓ ભારતની આર્થિક રાજધાનીમાં રહે છે. વર્ષ 2013 માં મુંબઇ અને ત્યારબાદ 2015 માં વોશિંગ્ટનમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, 1972 માં સેનેટર બન્યા બાદ તેમને ભારતનાં કોઈ સબંધીનો પત્ર મળ્યો હતો અને જાણવા મળ્યુ કે તેમના પરિવારનાં એક પૂર્વજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં કામ કરતા હતા.
નાગપુરની લેસ્લી બિડેને આ પત્ર લખ્યો હતો અને તેમના પૌત્ર નાગપુરમાં રહે છે. પત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેમનો પરિવાર 1873 થી અહીં રહેતો હતો. લેસ્લીની પૌત્રી સોનિયા બિડેન ફ્રાન્સિસ નાગપુરમાં મનોચિકિત્સક છે. તેમણે પીટીઆઈને જણાવ્યું હતું કે, નાગપુર અને અન્ય સ્થાને રહેતા બિડેન પરિવારનાં લોકો અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બિડેનની જીતથી ખૂબ જ ખુશ છે.