સિંહોના રક્ષણ માટે રૂા. ૩૩ કરોડના ખર્ચે ૪૩ હજાર કૂવાઓને પારાપેટ વોલ બનાવાઇ
ગુજરાત વિધાનસભા સત્રમાં આજરોજ રાજ્યમાં વધતી જતી સિંહની વસ્તી અને સંવર્ધન ઉપર ચર્ચા થઈ હતી. જેમાં વન મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં ૨૯ ટકાનો વધારો થયો છે.
વર્ષ ૨૦૧૫માં જ્યારે સિંહની ગણના થઇ ત્યારે ૫૨૩ સિંહ હતા. જ્યારે વર્ષ ૨૦૨૦માં પુનઃ અવલોકન થયું તેમાં ૬૭૪ સિંહ નોંધાયા છે.
સિંહના સંવર્ધન માટે ક્ષેત્રિય સ્ટાફને વાહન, હથિયાર, વોકીટોકી, ટેબલેટથી સુસજ્જ કરી સતત પેટ્રોલીંગ કરવામાં આવે છે. ઉપરાંત, પોલીસ વિભાગ, વન વિભાગ અને પી.જી.વી.સી.એલ દ્વારા સંયુક્ત પેટ્રોલીંગ કરાય છે એટલું જ નહીં, વન્ય પ્રાણીના રેસક્યુ માટે રેપીડ એકશન ટીમ તથા રેસ્ક્યુ ટીમની રચના કરાઇ છે. તેમજ ચેકીંગ નાકા પર પરમીશન વગર લોકો ઘૂસી ન જાય તે માટે સી.સી. ટીવી કેમેરા તથા હાઇટેક મોનીટરીંગ યુનિટ કાર્યરત કરીને ૨૯૩ વન્ય પ્રાણી મિત્રો, ૧૬૦ હેકર્સ કાર્યરત કરાઇ છે.
સિંહ તથા અન્ય વન્ય પ્રાણીઓને બિમારી, અકસ્માત વખતે તાત્કાલિક સારવાર માટે વેટરનરી ઓફિસરની નિયુક્ત કરીને દેશભરમાં પ્રથમવાર ચાર લાયન એમ્બ્યુલન્સ કાર્યરત કરી છે તથા વન્ય પ્રાણી સારવાર કેન્દ્રો કાર્યરત છે. સિંહોના વિચરણનું સતત મોનીટરીંગ કરવા માટે સિંહોને રેડિયો કોલસ લગાવવામાં આવ્યા છે. અભ્યારણ્ય વિસ્તારમાંથી પસાર થતા જાહેરમાર્ગો પર સ્પીડ બ્રેકરો, આઇસવોર્ડ મૂકાયા છે તથા રાજુલા-પીપાવાવ, રેલ્વે ટ્રેકની આજુબાજુ ચેઇનલીંક ફેન્સીંગ કરવામાં આવી છે.