દસાડા-લખતર મતવિસ્તારના ધારાસભ્યના પ્રયાસથી પાટડી પથંક અને સુરેન્દ્રનગરના પાંચ રસ્તાઓ રૂ. 61.03 કરોડના ખર્ચે નવા બનવાના કામને મંજૂરી મળતા લોકોમાં ખુશીની લહેર દોડી જવા પામી છે. જેમાં દૂધરેજ-બેચરાજી રોડ, ગવાણા-પાનવા રોડ, વઢવાણ-વડેખણ રોડ, ધણાદ-વણા રોડ અને આદરીયાણા-પાડીવાડા રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે.
દસાડા વિધાનસભા મતવિસ્તારના વિવિધ ગ્રામજનોની અનેકવિધ રજૂઆતોને ધ્યાનમાં રાખીને દસાડા-લખતર મતવિસ્તારના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીની સરકારમાં ધારદાર રજૂઆતને લઇને દસાડા મતવિસ્તારમાં માળખાકીય સુવિધાઓમાં વધારો કરતા વિવિધ પાંચ રસ્તાઓ માટે રૂ. 61.03 કરોડના કામો માટે મંજૂરીની મહોર લાગતા આ વિસ્તારના લોકોમાં અને આ રસ્તેથી પસાર થતાં વાહનચાલકોમાં ખુશીની લહેર દોડી જવા પામી છે.
આ અંગે વિગતવાર માહિતી આપતા ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીએ જણાવ્યું કે, આ મંજૂર કરાયેલા પાંચ રસ્તાના કામોમાં દૂધરેજ-વણા-માલવણ-પાટડી-બેચરાજી રોડ રૂ. 45 કરોડના ખર્ચે, ગવાણા-બુબવાણા-પાનવા રોડ રૂ.6.30 કરોડના ખર્ચે, વઢવાણ-ઝાંપોદર-વરસાણી-તાવી-તલસાણા-વડેખણ રોડ રૂ. 6.35 કરોડના ખર્ચે નવો બનશે.
જ્યારે ધણાદ-વણા રોડ રૂ. 96 લાખના ખર્ચે અને પાટડી તાલુકાના આદરીયાણા-પાડીવાડા રોડ રૂ. 2.42 કરોડના ખર્ચે નવો બનાવવામાં આવશે. ત્યારે રણકાંઠાના બિસ્માર રસ્તાઓના લીધે ત્રાહિમામ પોકારી ઉઠેલા વાહનચાલકોમાં અને તાલુકા વાસીઓમાં ખુશીની લહેર દોડી જવા પામી છે. બીજી બાજુ ખારાઘોડા-ફુલકી રોડનું રૂ. 9 કરોડના ખર્ચે બની રહેલા રોડનું કામ અકસ્માતના પગલે બંધ કરવામાં આવ્યું હતુ. એ કામ તાકીદે શરૂ કરવામાં આવે એવી વ્યાપક માંગ પાટડી નગરજનોએ ઉઠાવી છે.