ભોપાલ.
ગુજરાતના ભૂતપૂર્વ પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. મંગળવારે રાજભવનમાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હેમંત ગુપ્તાએ આનંદીબેન પટેલને શપથ લેવડાવ્યા હતા. આ સાથે તેઓ મધ્યપ્રદેશના ૨૭માં રાજ્યપાલ બન્યા છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તેમજ રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આનંદીબેન પટેલ સોમવાર રાત્રે ૮.૨૫ વાગ્યે ભોપાલ પહોચ્યા હતા. નોધનીય છે કે, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દીકરી અનારબેન પટેલ, દીકરા સંજય પટેલ અને પરિવારના ૧૫ સભ્યો સાથે ગાંધીનગરથી ઉજ્જૈન સુધી ૪૧૫ કિમીની મુસાફરી બસ દ્વારા કરી હતી.
આનંદીબેનનો કાફલો સોમવાર સાંજે ૪ વાગ્યે ઉજ્જૈન પહોંચ્યો હતો. ઉજ્જૈનમાં તેઓએ પરિવાર સાથે મહાકાલના આશીર્વાદ લીધા હતા. અને ત્યારબાદ તેઓ રાજભવનની સરકારી ગાડી દ્વારા ભોપાલ પહોચ્યા હતા. મહત્વનું છે કે, રાજ્ય સરકારે સ્ટેટ પ્લેન મોકલવાની તૈયારી કરી લીધી હતી, પરંતુ તેઓએ બસમાં જ મુસાફરી કરવાનો આગ્રહ કર્યો હતો. આ બસ મુસાફરી દરમિયાન રસ્તામાં રોડ શૉ જેવો માહોલ રહ્યો હતો.