અમદાવાદ: વર્ષોથી અમદાવાદમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા 11 બાંગ્લાદેશીની એસઓજી (SOG) એ ધરપકડ કરી છે. આ તમામ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાંથી દર વર્ષે સરેરાશ 50 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરીને તેમને ડિપોટ કરીને બાંગ્લાદેશ મોકલવામાં આવે છે. આમ છેલ્લા 5 વર્ષમાં અમદાવાદમાંથી 250 જેટલા બાંગ્લાદેશીઓને ડિપોટ કરીને બાંગ્લાદેશ મોકલી દેવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઝડપી લેવા એસઓજીના ડીસીપી ડૉ. હર્ષદ પટેલ અને એસીપી બી.સી.સોલંકી દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના અંતર્ગત ઓઢવ વિસ્તારમાં આવેલી શ્રમજીવીઓની વસાહતમાંથી 11 બાંગ્લાદેશીને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા પકડવામાં આવેલા તમામ લોકો પાસે પાસપોર્ટ પણ ન હતા અને તે લોકો અમદાવાદમાં વાંસના સાવરણા – સાવરણી બનાવીને તેમજ છૂટક મજૂરી કામ કરીને વસવાટ કરતા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ પોલીસના એસઓજીની ટીમ ભારત અને બાંગ્લાદેશની બોર્ડર સુધી મૂકવા જાય છે અને આ લોકોને બીએસએફને સોંપી દેવામાં આવે છે.
સ્પેશિયલ બ્રાંચ આ અંગે રિપોર્ટ કરીને રાજ્યના ગૃહ વિભાગને મોકલી આપે છે. ગૃહ વિભાગ દ્વારા આ કાગળોને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલી આપવામાં આવે છે. કેન્દ્રીય મંત્રાલય તરફથી મંજૂરી આવ્યા બાદ એસઓજીની ટીમ આ બાંગ્લાદેશીઓને બોર્ડર ઉપર બીએસએફને સોંપી દેવામાં આવે છે અને બીએસએફની ટીમ તેમને બાંગ્લાદેશની બોર્ડરની પેલે પાર મોકલી દે છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કેટલાક બાંગ્લાદેશી ઉપર થયેલા કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી તેમને અમદાવાદ એસઓજીની ઓફિસમાં જ રાખવામાં આવે છે. જોકે આવા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયામાં અંદાજે ત્રણથી ચાર મહિનાનો સમય લાગતો હોય છે.
એસઓજી દ્વારા જે 11 બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમાં તુહીન મુલ્લા, મોહંમદ શેખ, જેહાદુલ શેખ, તોરીકુલ સદ્દર, જુયેલ સદ્દર, જુહાગીર શેખ, અસલત ફકીર, સિકંદર શેખ, સઇદ મુલ્લા, સમીમ શેખ, અને સુલેમાન મુલ્લાનો સમાવેશ થાય છે.