ગોંડલ,
ગોંડલમાં મગફળી કૌભાંડને લઈ વિપક્ષી નેતા પરેશ ધાનાણીના પ્રતીક ઉપવાસનો બીજો દિવસ છે. ગોંડલમાં આવેલ રામરાજ્ય જીનિંગ મિલના ગોડાઉનમાં મગફળીના અંદાજે ૨૮ કરોડના વિપુલ જથ્થામાં આગ લાગવાની ઘટના અને જેતપુરના પેઢાલા ખાતે મગફળી કૌભાંડ સામે કોંગ્રેસ આક્રમક બની છે.
રામરાજ્ય જીનિંગ મિલના ગેટની બહાર કોંગ્રેસ દ્વારા છાવણી નાખી વિધાનસભાના વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણીએ ધરણાં શરૂ કર્યા હતા. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા, જિલ્લા પંચાયતના સદસ્ય, ગોંડલના સ્થાનિક કોંગ્રેસી આગેવાનો, અનિલભાઈ માધડ ભાવેશભાઈ ભાષા, દિનેશભાઈ સોજીત્રા, લલીતભાઈ પટોળીયા તેમજ મહિલા કોંગ્રેસના ધરણાં જોડાયા છે.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ગોંડલ, ગાંધીધામ, રાજકોટ છેલ્લાં બે અઢી માસથી નાફેડ દ્વારા રખાયેલ મગફળીના ગોડાઉનમાં રહસ્યમય રીતે આગ લગાડી કરોડોનું કૌભાંડ આચરાયું છે. ભાજપ સરકાર આ કૌભાંડને છાવરતી હોય તેમ આગ લાગ્યાની ઘટનાઓમાં કોઈ પણ જાતની તપાસ કરી શકી નથી, જ્યારે મોટા માથાઓ આ કૌભાંડમાં સંડોવાયા હોય સરકાર તેમનો બચાવ કરવા પ્રયત્નો કરી રહી છે.
મહત્વનું છે કે, ગોંડલ પંથક ભાજપનો ગઢ ગણાય છે ત્યારે ગોંડલમાં જ વિધાનસભાના વિપક્ષી નેતા દ્વારા ધરણા નું આયોજન કરતા ઉતેજના ફેલાવા પામી છે, ધરણાના પગલાને લઇ છાવણી પાસે પોલીસના ધાડા ખડકી દેવાયા છે.