નવરાત્રીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે, તેમ પદયાત્રીઓનો ધસારો કચ્છ તરફ વધી રહ્યો છે. નવરાત્રીમા કચ્છની કુળદેવી માં આશાપુરા ના દર્શનાથે જવા શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા ચાલુ વર્ષે કુલ 200 એસટી બસ માતાના મઢના પ્રવાસન માટે રાખવામાં આવી છે.
ક્ચ્છ એસટી વિભાગના નિયામક શ્રી જાડેજાએ વિગતો આપતા જણાવ્યું કે, આ વખતે ભુજ વિભાગની 60 અને જિલ્લા બહારની 140 બસો મળી, કુલ 200 ગાડીઓ માતાના મઢ પ્રવાસન માટે રાખવામાં આવી છે. ગત વર્ષે 170 જેટલી ગાડીઓ રાખવામાં આવી હતી.
જો કે, આ વખતે નવરાત્રીમાં શાળા કોલેજો માં રજા હોવાથી શ્રદ્ધાળુઓનો ધસારો વધવાની શકયતા છે, જેને લઈને 30 બસ ની સુવિધા વધારવામાં આવી છે. માતાના મઢ જવા માટેની આ સ્પેશિયલ બસ ની સુવિધા 7 તારીખ થી શરૂ થશે અને નવરાત્રી પૂર્ણ થાય ત્યાં સુધી આ સેવા ચાલશે.
જેમાં ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ ,રાપર, નલિયા , માંડવી, મુન્દ્રા થી માતાના મઢ રૂટ ગોઠવવામાં આવ્યા છે, જે રૂટ 24 કલાક સતત ચાલુ જ રહેશે. ગત વર્ષે માતાના મઢ જવા માટે ગોઠવાયેલી સ્પેશિયલ બસોની સેવામાંથી નિગમને 74 લાખની આવક થઈ હતી. આ વખતે વેકેશનને અનુલક્ષીને 1 કરોડની આવક થાય તેવો અંદાજ વ્યક્ત કરાયો છે.