ગાંધીનગર: ગુજરાતમાં જન અભિયાનની જેમ હાથ ધરાયેલા સુજલામ્ સુફલામ્ જળ અભિયાનનું સમાપનનું આગામી તા. ૩૧મી મેના રોજ રાજ્યભરમાં વિવિધ સમાજના દંપતિના હસ્તે નર્મદા જળ પૂજનથી કરાશે તેમ સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જળ અભિયાન આ રીતે સામાજિક સમરસતાનું પણ મહા અભિયાન બની રહેશે. ભરઉનાળામાં ૪૫ ડિગ્રી ગરમીમાં પરસેવો પાડીને જળ અભિયાનમાં યોગદાન આપનાર સૌને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
વીડિઓ કોન્ફરન્સ દ્વારા સાત જિલ્લાના ગ્રામજનો સાથે સીધી વાત કરતાં સીએમ
મુખ્યમંત્રી નિવાસસ્થાને કમાન્ડ કન્ટ્રોલ વોલ મારફતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કુંવાસણા ગામના નાગરિકો, અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના મોટા લીલીયાના ગ્રામજનો, પંચમહાલ જિલ્લાના હાલોલ, આણંદ જિલ્લાના ચિખોદરા ગામના લોકો, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારીયાના ગ્રામજનો, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પેછડાલના ગ્રામીણ લોકો તથા ભરૂચ જિલ્લાના પારખેત ગામના સરપંચ અને લોકો સાથે વીડિઓ કોન્ફરન્સિંગથી સીધી જ વાત કરીને સુજલામ્ સુફલામ્ જળ અભિયાનની કામગીરીની સમીક્ષા કરીને ગ્રામજનોના પ્રતિભાવો સાંભળ્યા હતા.
જળ અભિયાન સામાજિક સમરસતાનું મહાઅભિયાન બની રહેશે: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી રૂપાણીએ ગ્રામજનોના સંતોષ અને ગ્રામજનોએ વ્યક્ત કરેલી હર્ષની લાગણીને ધ્યાને લઇને પુન:પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી કે, રાજ્ય સરકાર આગામી ત્રણ વર્ષ સુધી સુજલામ્ સુફલામ્ જળ અભિયાન ચાલુ રાખશે. તેમણે કહ્યું હતું કે, આ વર્ષે ચોમાસુ પણ સારું રહેશે એવો વરતારો છે ત્યારે રાજ્યમાં તળાવો-જળાશયો ઊંડા કરવાનું આ અભિયાન ખૂબ લાભદાયી પૂરવાર થશે. જે જિલ્લાઓમાં હજુ કામો ચાલી રહ્યા છે, તે ઝડપભેર પૂર્ણ કરવા તેમણે વહીવટીતંત્રને તાકીદ કરી હતી.
વીડિઓ કોન્ફરન્સ દરમિયાન ગ્રામજનોએ જળ અભિયાન અંતર્ગત થયેલા કામોથી બહુ જ સંતોષ હોવાની લાગણી વ્યક્ત કરીને આ યોજના કાયમ ચાલુ રાખવા વિનંતી કરી હતી. જળાશયોની માટી ખેડૂતોના ખેતરો માટે અપાઈ રહી છે તેનો પણ ખેડૂતોએ આનંદ વ્યક્ત કર્યો હતો. જેના પ્રતિભાવમાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, માત્ર નર્મદાના પાણી પર આધાર રાખીને બેસવા કરતાં વરસાદી પાણીનો વધુ ને વધુ સંગ્રહ કરવાના શક્ય તમામ પ્રયત્નો કરવા જોઇએ. જળ અભિયાનથી જળાશયો, તળાવો, ચેકડેમો ભરાયેલા રહેશે તો પાણીના તળ ઊંચા આવશે. વરસાદ આવે તે પહેલાં આપણે આ કામ પૂરાં કરવાનાં છે.
ગ્રામજનોએ જળ અભિયાનને ‘ભગીરથ કાર્ય’ ગણાવી સંતોષ વ્યક્ત કર્યો
બનાસકાંઠા જિલ્લાના પેછડાલ ગામના નાગરિકોએ રાજ્ય સરકારના આ કામને ‘ભગીરથ કાર્ય’ ગણાવ્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ ગત ચોમાસામાં પૂર વેળાએ બનાસકાંઠામાં એક અઠવાડિયું રહીને કરેલા કામોની સ્મૃતિ વાગોળતાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આ કામથી ખેડૂતો ખૂબ રાજી છે. આવનારા દિવસો સારા હશે એવો શુભ સંકેત આપીને ગ્રામજનોએ આગોતરા આયોજનની પ્રશંસા કરી હતી.