વાપી,
વલસાડ જિલ્લાના વાપીમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. જ્યાં ગુંજન વિસ્તારમાં ૧૮ દિવસથી ઘર હોવા છતાં ઘર વિહોણા બનેલા ૩૨ પરિવારોએ ઇચ્છા મૃત્યુની માંગ કરી છે અને તેઓએ ઈચ્છા મૃત્યુની માંગ કરતું આવેદનપત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યપ્રધાન, રાજ્યપાલને પહોંચાડવા વાપી મામલતદારને સુપ્રત કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઉસીંગ બોર્ડના વાપીના ગુંજન વિસ્તારમાં જર્જરીત ઇમારતના આ ૩૨ પરિવારોને તંત્રએ કોઇપણ પ્રકારની રહેઠાણની વ્યવસ્થા કરાવી આપ્યા વિના જ તંબુમાં રહેવા મજબુર કર્યા છે.
રહેવાસીઓનું કહેવું છે કે, હાઉસિંગ બોર્ડના મકાનો રીડેવલપ થઈ શકે તેમ ન હોય તો ઈચ્છા મૃત્યુની પરવાનગી આપો. આ ૩૨ પરિવારો છેલ્લા ૪૨ વર્ષથી બોર્ડ દ્વારા તૈયાર કરાયેલ મકાનોમાં વસવાટ કરે છે.
હાઉસિંગ બોર્ડ દ્વારા તૈયાર થયેલા મકાનોની અવધી પૂર્ણ થઈ ગઈ છે. હાલમાં મકાનો અત્યંત જર્જરિત અવસ્થામાં આવી ચૂક્યા છે. આ પરિસ્થિતિને કારણે થોડા સમય અગાઉ ગુંજન વિસ્તારમાં અન્ય એક આખી બિલ્ડીંગ ધરાશાયી થઇ જતાં બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા હતાં.
આ ઉપરાંત ૨૩મી સપ્ટેમ્બરે ૧૩ નંબરની બિલ્ડિંગની અગાશી તુટી પડતા ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં એક આધેડનું મોત નીપજયુ હતું. આ ઘટના બાદ GIDC દ્વારા બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવી અને વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો છે.
આ બિલ્ડીંગમાં રહેતા ૩૨ પરિવારો રાતોરાત રસ્તા પર આવી ગયા છે. જે અંગે સ્થાનિક સ્તરે રજૂઆતો કરવા છતાં કોઈ હકારાત્મક પરિણામ મળી શક્યું નથી. માત્ર ભયજનક બિલ્ડીંગ હોવાનું કારણ આગળ ધરી દેવામાં આવે છે.રસ્તા પર આવી ગયેલા ૩૨ પરિવારો મધ્યમ વર્ગના હોવાથી અન્ય સ્થળે ભાડે મકાન પણ રાખી શકવાની સ્થિતિમાં નથી.
બીજી તરફ આ મામલે હાઉસિંગ બોર્ડ દ્વારા રીડેવલોપમેન્ટ યોજનામાં વિલંબ થાય એમ હોવાથી બુધવારે જર્જરીત ઇમારતમાં રહેવાની મંજૂરી આપશો અને મોત તો ગમે ત્યારે આવવાનું જ છે તો હાઉસિંગ બોર્ડના કારણે છતે ઘરે રસ્તા પર રહેવું પડે તે અમારા માટે બહુ દુઃખ છે.
જો તેમ પણ શક્ય ન હોય તો અમને તમામને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપતી રજૂઆત રહેવાસીઓએ કરી છે. રહેવાસીઓ આ જ ઇમારતના રહેવાસી છે તેવા માટે તમામની આધારકાર્ડની નકલ પણ આવેદનપત્ર સાથે મમલતદારને સુપ્રત કરી હતી.
આ નોંધારા પરિવારોએ આ આવેદનપત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના રાજ્યપાલ, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ, ધારાસભ્ય પારડી, વલસાડ સાંસદ સહિતના ઉચ્ચ લેવલે પહોંચાડવા વાપી મામલતદારને સુપ્રત કર્યું છે. હવે નિંભર તંત્રની આ઼ખ ઉઘડે છે કે કેમ અને આ ૧૯ દિવસથી છતે ઘરે ઘર વિહોણા પરિવારોને છત નસીબ થશે કે કેમ તે જોવું રહ્યું.