દેશમાં સૌથી ઊંચા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે 80 ફૂટની બુદ્ધની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ પીસનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ થશે.
રાજ્ય સરકારે અમદાવાદ મહુડી રોડ પર ગાંધીનગરની નજીક સાબરમતી નદીના કિનારે પાંચ એકર જમીન સ્ટેચ્યૂ ઓફ પીસના નિર્માણ માટે ફાળવી દીધી છે. ભગવાન બુદ્ધની વય 80 વર્ષની હોય ને પ્રતિમાની ઊંચાઈ 80 ફૂટની રાખવાનું નક્કી કરાયું છે. હાલમાં સ્ટેચ્યૂ ઓફ પીસની ડિઝાઈન બનાવવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે. તેથી અમદાવાદીઓને મહુડી જવાના રસ્તા સુધીમાં ઈન્દ્રોડા પાર્કમાં સિંહની જોડી અને અક્ષરધામ અને તેનાથી આગળ સ્ટેચ્યૂ ઓફ પીસનું સ્થળ જોવા મળશે.
25 નવેમ્બરે રાજ્યમાં બુદ્ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ રહી છે જેમાં ઈટાલી, મલેશિયા, શ્રીલંકા, બેંગકોક, થાઈલેન્ડ અને સાઉથ આફ્રિકાથી મહેમાનો આવશે.
આ અંગે દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સ્થાપત્ય કળાથી સમૃદ્ધ બુદ્ધ વારસો છે. પ્રાચીન અવશેષો છે. અહીં ભગવાન બુદ્ધની પ્રતિમા અને સ્મારક બનશે તો લોકો પણ તેનાથી મહિતગાર થશે.