મહેસાણામાં બનેલા જુદાજુદા બે બનાવોએ ચકચાર મચાવી છે. જેમાં પ્રથમ કિસ્સામાં એક યુવતીને ફોસલાવીને તેની સાથે લગ્ન કર્યા બાદ સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના બની હતી. જેમાં યુવતીના પતિ સહિત આઠ લોકોએ સાથે મળીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જયારે અન્ય એક કેસમાં વિસનગરના લાલાદરવાજા વિસ્તારમાં પરસ્ત્રીને ભગાડી જનાર યુવકને પકડીને લોકોએ માર મારવામાં આવ્યો હોવાની ઘટના બની છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ મહેસાણાની એક યુવતીને ફોસલાવીને એક યુવક સાથે તેના લગ્ન કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં આઠ ઈસમોએ એક સંપ કરીને આ યુવતીને ભોળવીને તેના લગ્ન કરાવ્યા હતા. લગ્ન કરાવ્યા પછી આ યુવતી પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું. આ દુષ્કર્મની ઘટના બાદ યુવતીએ ખેરાવના રામી પરિવાર સહિત આઠ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનામાં માણસાના ચારડાના એક ભુવાનું નામ પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે. જેમાં ખોટા નિવેદનો આપવા માટે તાંત્રિક વિધિ કરાવવામાં આવી હતી. જેથી યુવતી પોલીસ સમક્ષ સાચું બોલી શકે નહીં. યુવતીના પતિ દ્વારા મરજી વિરુદ્ધ અવાર નવાર દુષ્કર્મ આચરવામાં આવ્યાની પણ ફરિયાદ કરવામાં આવી છે. હાલમાં આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે. આથી મહેસાણા બી.ડિવિઝન પોલીસ યુવતીની ફરિયાદ નોંધીને દુષ્કર્મની ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પરિણીતાને ભગાડી જનાર યુવક પર છરી વડે હુમલો
જયારે અન્ય એક ચોંકાવનારી ઘટના મહેસાણા જિલ્લાના વિસનગરમાં બની છે. જેમાં વિસનગરના લાલાદરવાજા વિસ્તારમાં રહેતી પરિણીતા યુવતીને એક યુવક ભગાડી ગયો હતો. પોતાની પત્નીને અન્ય યુવક ભગાડી ગયો હોવાની જાણ તેના પતિને થઈ હતી.
આ અંગેની જાણ તેણીના પતિને થતા તેણે પોતાની પત્નીને ભગાડી જનાર યુવકને શોધી કાઢ્યો હતો અને તેને પકડીને ઢોર માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પરિણીતાના પતિએ આ યુવકને છરીના ઘા ઝીંકી દેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ ઘટના અંગે ઈજાગ્રસ્ત યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે ફરિયાદ નોંધીને યુવક ઉપર હુમલો કરનાર શખ્સો ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.