અમદાવાદ,
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેરમાં આઠમી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસનો પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રિય મંત્રી શ્રીપાદ નાઇકની પ્રેરક ઉપસ્થિતિમાં તેઓએ પ્રારંભ કરાવ્યો હતો.
આ અવસરે મુખ્યમંત્રીએ ભારતે છેલ્લા ત્રીસ વર્ષમાં સાધેલી અભૂતપૂર્વ આઇ.ટી. ક્રાંતિ બાદ હવે આયુર્વેદ ક્રાંતિના નેતૃત્વથી ભારતને વિશ્વ ગુરૂ બનાવવા આયુર્વેદ ચિકિત્સકો, આયુર્વેદાચાર્યો અને આયુર્વેદ તબિબી વિજ્ઞાનના યુવાઓને પ્રેરક આહવાન કર્યું છે.
તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “વિશ્વ આજે ટોટલ હેલ્થ એન્ડ વેલનેસનો જે માર્ગ શોધે છે તે હિન્દુ સંસ્કૃતિના ઋષિમૂનિઓએ પાંચ હજાર વર્ષ પહેલા આયુર્વેદ-યોગથી દર્શાવી દીધો છે. આયુર્વેદની રચના જ મનુષ્યના સર્વાંગી સામાજિક, સાર્વજનિક, પર્યાવરણ સ્વાસ્થ્ય માટે થયેલી છે તેથી આજે આખી દુનિયા મોટી આશા અને ઉમીદ સાથે ભારતીય આયુર્વેદ અને યોગ તરફ મીટ માંડી રહી છે”.
CM રૂપાણીએ ગુજરાતમાં યોજાઇ રહેલી આઠમી વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસને રાઇટ ટાઇમ ફોર રાઇટ જોબ ગણાવતાં કહ્યું કે, ગુજરાતનો સંબંધ આયુર્વેદ અને આયુર્વેદ ચિકિત્સા સાથે બહુ જૂનો છે”.
“૧૯૫૨માં દેશનું પહેલું આયુર્વેદ સંશોધન કેન્દ્ર ગુજરાતમાં જામનગરમાં શરૂ થયું હતું જે આજે ધનવંતરી આયુર્વેદિક વિશ્વ વિદ્યાલયના રુપમાં પ્રસ્થાપિત થયું છે. એટલું જ નહીં ગુજરાતની ૧૯૬૦માં અલગ રાજ્ય તરીકે સ્થાપના થઇ ત્યારથી જ આયુર્વેદ વિભાગ કાર્યાન્વિત કરવામાં આવેલો છે”.
મુખ્યમંત્રીએ તાજેતરમાં ગુજરાતમાં ઇટ રાઇટ ઇન્ડિયા અભિયાન અને શુક્રવારે ગાંધીનગરમાં ખાદ્ય ખોરાક પ્રદર્શનીના પ્રારંભ સાથે આ આઠમી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસની શરૂઆતની ત્રિવેણી નાગરિકોના સ્વાસ્થ્ય સુખાકારી, યોગ્ય આહાર અને આયુર્વેદ યોગથી સામાજિક તંદુરસ્તીની દિશાનું એક સ્તુત્ય પગલું બનશે એમ કહ્યું હતું.
તેઓએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વર્તમાન સમયમાં આયુર્વેદ, યુનાની જેવી ચિકિત્સા પધ્ધતિઓની ઉપયોગીતા જોતાં આયુષ મંત્રાલયની સ્થાપના કરી છે. રાષ્ટ્રીય આરોગ્ય નીતિના નિર્ધારણમાં આયુષને પણ સામેલ કરવાની માર્ગદર્શિકા બનાવવામાં આવી છે”.
બીજી બાજુ કેન્દ્રીય મંત્રીશ્રીએ ‘આયુષગુરૂ’ નામના પોર્ટલનું લોન્ચીંગ કરતાં કહ્યું કે, “આ મેળો ભારતીય આયુર્વેદને વિશ્વ સમક્ષ મુકવાનું પ્લેટફોર્મ બન્યું છે. આ મેળામાં થયેલી ચર્ચા-વિચારણા અને મંથન આયુર્વેદને નવી દિશા બતાવે છે”.
ઉલ્લેખનીય છે કે, આ મેળામાં ૩૫૦૦ ડેલીગેટ્સ ભાગ લઇ રહ્યા છે. ૧૬૦ આમંત્રિત અને પ્રસિધ્ધ વક્તાઓ સાથે ૨૪ આંતરરાષ્ટ્રીય વક્તાઓ વિવિધ ૮૭ ટેકનીકલ સેશન્સમાં વકતવ્ય આપશે. આ ઉપરાંત ૩૫ કરતા વધુ દેશોના પ્રતિનિધિઓ, વિવિધ ૨૧ સંલગ્ન કાર્યક્રમોમાં સહભાગી પણ બનશે.
આ પ્રસંગે વિજ્ઞાન ભારતીના પ્રેસિડન્ટ શ્રી વિજય ભાટકર, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પૂનમચંદ પરમાર, દેશ વિદેશથી પધારેલા આરોગ્ય ક્ષેત્રના ડૉકટર્સ – તજજ્ઞો તથા આયુર્વેદ ક્ષેત્ર સાથે સંકળાયેલ કંપનીઓના પ્રતિનિધિઓ, આયુર્વેદ પ્રેમી નાગરિકો, આયુર્વેદના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.