અમદાવાદ,
અમદાવાદના તળાવોનો વિકાસ કરવામાં આવ્યો છે, પરંતુ પૂર્વ અમદાવાદમાં આવેલા તળાવોની આસપાસ અને તળાવમાં ગંદકીના ઢગ ખડકાયેલા છે જે લોકો માટે માથાના દુ:ખાવા સમાન બની ગયા છે.
અમદાવાદ મહાનગર પાલિકાના દ્વારા પશ્ચિમ અમદાવાદના તળાવોનો વિકાસ કરવામાં આવ્યો છે, પરંતુ પૂર્વ અમદાવાદના તળાવોને તો જાણે કે, એએમસી ભૂલી ગયુ છે.
નિકોલ ગામમાં આવેલ વર્ષો જૂના તળાવમાં અને તળાવની આસપાસ ગંદકીના ઢગ છે, એટલુ જ નહીં આ તળાવની અંદર દુષિત પાણી છોડવામાં આવે છે. આથી તળાવના પાણીની દુર્ગંધ અને ગંદકીથી આસપાસના લોકોને અંહી રહેવું મુશ્કેલ બની ગયુ છે.
સ્થાનિકોએ અનેક વખત આ મામલે તંત્રને જાણ કરી છે પરંતુ તંત્રના બહેરા કાન તેમની વાત સાંભળતા હોય તેવું લાગતું નથી.સ્થાનિકોનું કહેવું છે કે, આ તળાવમાં ચોમાસાના સમયે આ તળાવનું દુષિત પાણી ઓવર ફ્લો થાય છે તો આસપાસ લોકોને બહાર નીકળવું પણ અઘરું બને છે સાથે જ આસપાસના ધંધાકીય એકમો દ્વારા કેમિકલ વાળું પાણી છોડાતા લોકોને ચામડીના રોગો થાય છે.
મોડે મોડે જાગેલા એએમસી તંત્રને નિકોલમાં આવેલા તળાવને રિનોવેટ કરવાની જરુર છે. પરંતુ વર્ષોથી કાગળ પર જ થતી વાતોમાં આ તળાવનું ક્યારે રિનોવેટ થશે અને તળાવની ગંદકી અને કેમિકલવાળા પાણીથી સ્થાનિકોને છુટકારો મળશે તે પણ એક સવાલ છે.
સ્થાનિકો સહિત નિકોલવાસીઓ અમદાવાદના અન્ય તળાવોની જેમ નિકોલનું તળાવ પિકનીક સ્પોટ બનશે તેની રાહ જોઈ રહ્યાં છે. જો કે નઘરોળ તંત્ર ક્યારે જાગશે તેતો આવનારો સમય જ બતાવશે.