અરવલ્લી
અરવલ્લીમાં અસામાજિક તત્વો બેફામ થઇ રહ્યા છે. તો બીજી તરફ તંત્રની કામગીરીમાં પણ બેદરકારી સામે આવી છે. મોડાસામાં નવા બનેલા બસ સ્ટેશન પીપીપીના ધોરણે તૈયાર તો થઈ છે. પરંતું આ બસ સ્ટેશનમાં કોઇ સીસીટીવી કેમેરા નથી.
બસ સ્ટેશનમાં જો કોઇ ઘટના ઘટે તો તેના માટે જવાબદાર કોન તે પ્રશ્ન ઉઠે છે. આ પહેલા પણ નાની મોટી ચોરી જેવી ઘટનાઓ બની ચૂકી છે. પણ સીસીટીવી કેમેરા ન હોવાને કારણે અસામાજિક તત્વો તકનો લાભ ઉઠાવી જતા હોય છે.
આ સમગ્ર મામલે જ્યારે એસ.ટી ડેપો મેનેજરને પૂછતાં તેમને આ મામલે તમામ ટોપલો ઉચ્ચ અધિકારીઓ પર ઠાલવ્યો છે. તેમનું કહેવું છે કે, સીસીટીવી કેમેરા લગાવવા માટે તેમને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.
આજના ટેકનોલોજી યુગમાં લૂંટફાટ જેવી ઘટનાઓને ડામવા અને આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસનું પ્રથમ શસ્ત્ર સીસીટીવી ફૂટેજ જ હોય છે. પણ આ પ્રકારના બસ સ્ટેશનમાં કોઇ મોટી ઘટના સર્જાય તો તંત્ર કયા આધારે તપાસ હાથ ધરશે તે એક સવાલ છે. હવે જોવાનું એ છે કે આ મામલે તંત્ર ક્યારે જાગે છે.