અમદાવાદ: સુરત શહેરમાં આવેલા ઉપાશ્રયમાં જૈન સાધ્વી સાથે છેડતીની ઘટના બની છે, જેના કારણે જૈન સમાજમાં ભારે રોષની લાગણી ભભૂકી ઉઠી છે. સુરત શહેરના ગોપીપુરા જૈન ઉપાશ્રય ખાતે આ બનાવ બન્યો હતો. આ ઘટના અંગે જૈન અગ્રણીઓ દ્વારા પોલીસ સમક્ષ તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરવામાં આવી છે. આ મામલે જો કોઈ ઢીલ રાખવામાં આવશે તો દેશભરના જૈન સમાજ દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ સુરત શહેરના ગોપીપુરા જૈન ઉપાશ્રય ખાતે એક સાધ્વીજી સૂઈ રહ્યા હતા, તે દરમિયાન કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તેમની છેડતી કરવામાં આવી હતી. આ જૈન ઉપાશ્રાય ખાતે આવેલા બીજા માળ ઉપર સાધ્વીઓ રહે છે.
આ ઉપાશ્રયના બીજા માળ પર સાધ્વીજીઓ સૂઈ રહ્યાં હતાં, ત્યારે મોડી રાતના સમયે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા એક સાધ્વીજીનાં કપડાં ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
એટલું જ નહિ, આ શખ્સ દ્વારા તેમની સાથે શારીરિક છેડછાડનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના કારણે એકાએક ચોંકીને ઊંઘમાંથી જાગી ગયેલા સાધ્વીજીએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેના કારણે આ અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો.
આ ઘટના અંગે એક જૈન અગ્રણીએ જણાવ્યું હતું કે, “સાધ્વીજી મોડી રાત્રે ઊંઘી રહ્યા હતા, ત્યારે આશરે 12 થી એક વાગ્યાના સુમારે કોઈ અજાણ્યો શખ્સ આવી પહોંચ્યો હતો અને તેણે સાધ્વીજીનાં કપડાં ખેંચ્યા હતા અને તેમની સાથે શારીરિક અડપલાં કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના લીધે સાધ્વીજીએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસના સાધ્વીજીઓ જાગી ગયા હતા. હાલમાં સાધ્વીજી ખૂબ જ ભયભીત છે. તેઓ કોઈની સાથે વાતચીત પણ કરી રહ્યા નથી. તેઓ એટલી હદે ડરેલા છે કે, તેઓ ભોજન પણ નથી લઈ રહ્યા. કોઈ તેમને મળવા આવે છે તો પણ તેઓ ડરી જાય છે.”
અન્ય એક જૈન અગ્રણીએ જણાવ્યું હતું કે, “અમારી માંગણી છે કે, સાધ્વીજીને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવે. પ્રારંભમાં પોલીસ દ્વારા આ બનાવને ગંભીરતાથી લેવામાં આવ્યો ન હતો. જો કે, જૈન સમાજની રજૂઆત બાદ હવે પોલીસ સક્રિય થઈ છે. પોલીસે જૈન ઉપાશ્રયની આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધારવું જોઈએ. આ મામલે પોલીસ દ્વારા જો કોઈ ઢીલ કે કચાશ રાખવામાં આવશે તો ફક્ત સુરત શહેર જ નહીં, પરંતુ વિશ્વભરના જૈન લોકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે. જૈન સાધ્વીજીઓને ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે તેવું અમે ઈચ્છી રહ્યા છીએ, તેમ પણ તેમણે જણાવ્યું હતું.