ધાનેરા,ગાંધીધામ
સુરતમાં સરથાણા વિસ્તારમાં થયેલા અગ્નિકાંડ બાદ રૂપાણી સરકારે રાજ્યના તમામ ટ્યુશન ક્લાસને બંધ કરવા આદેશો અપાયા બાદ સમગ્ર રાજ્યમાં કોચીંગ ક્લાસ ચલાવતા સંચાલકો પર તવાઇ આવી હતી. બનાસકાંઠામાં કલેક્ટર અને જીલ્લા શિક્ષણાધિકારીએ ધાનેરામાં તમામ ટ્યુશન ક્લાસ બંધ કરવા આદેશો આપ્યા હતા.ધાનેરામાં ટ્યુશન ક્લાસ ચલાવતા સંચાલકો પર તવાઇ આવતાં તેઓ તેમના કોચીંગ ક્લાસ બંધ કરીને રફુચક્કર થયા હતા.
ધાનેરામાં શિવમ કરિયર,ફ્યુચર પોઇન્ટ, કરિયર અકાદમી,સક્સેસ એજ્યુકેશન જેવા ક્લાસમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો.
ધાનેરામાં મીડીયા દ્રારા રીયાલીટી ચેક કરવામાં આવી તો અનેક ટ્યુશન ક્લાસમાં ફાયર ફાઇટર જોવા મળ્યા નહોતા.ધાનેરામાં આવેલાં શોપિંગ સેન્ટરોમાં ટ્યુશન ક્લાસીસ ચાલતા હતા જેમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો.નગર પાલિકાએ પણ દરેક ટ્યુશન ક્લાસને તાકીદ કરી હતી ત્રણ દિવસમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરી નગરપાલિકામાંથી એન.ઓ સી મેળવી લેવાની રહેશે.
કચ્છમાં પણ ફટકારી નોટિસ
કચ્છના ગાંધીધામ પાલિકાએ ફાયરસેફ્ટીની સુવિધા ન હોય તેવી હોસ્પિટલો અને ટ્યુશન ક્લાસીસોને નોટિસ ફટકારી છે. તેમજ 3 દિવસમાં જ ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉભી કરવા ચેતવણી આપી છે. તેમજ તંત્ર દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ભુજમાં ટ્યુશન કલાસીસનો ઉપર તવાઈ બોલાવવામાં આવી છે. તંત્ર દ્વારા ફાયર સુવધાઓ નહીં હોવાથી 10 જેટલા ટ્યુશન કલાસીસને નોટિસ ફટકારી છે. તંત્રની કામગીરીને પગલે ગેરકાયદે ધમધમતી હાટડીઓ ટપોટપ બંધ થઈ ગઈ છે.