ભાવનગર,
ભાવનગરના સિંધુનગરના ઘોઘારીનગર વિસ્તારમાં ગત રાત્રીના ૨ વાગ્યાના સમયે એક માતાએ તેના ભાઈ તથા ભાભી સાથે મળીને તેના આગલા ઘરના ૩ વર્ષના બાળકને ક્રુરતા પૂર્વક માર માર્યો હતો.
ભાવનગર શહેરના સિંધુનગરના ઘોઘારીનગરમાં રહેતા ગવુંબેન કિશોરભાઈ રાઠોડ કે જેમણે અગાઉ કાંગસિયા સમાજના કોઈ વ્યક્તિ સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ છૂટાછેડા લઇ અન્યત્ર લગ્ન કર્યા હતા. ગવુંબેનના અગાઉના લગ્ન સમયગાળા દરમ્યાન એક બાળકનો જન્મ થયો હતો અને હાલ તે ત્રણ વર્ષ આજુબાજુની ઉંમર થયો છે.
ત્યારે આગલા ઘરનું આ બાળક તેને ગમતું ન હોવાથી આ બાળકને માતા તેના ભાઈ-ભાભી સાથે મળીને છેલ્લા ત્રણ દિવસથી બાંધીને માર-મારતા હતા. તેમજ ગત રાત્રીના સમયે તો હેવાનિયતની તમામ હદ પાર કરી આ બાળકને રસ્તા પર લાવી તવેતા જેવી કોઈ ગરમ વસ્તુ વડે તેને માર મારવામાં આવ્યો હતો, જેના પગલે બાળકને પીઠ તથા પગના ભાગે ભારે ઈજા થવા પામી હતી.
રાત્રીના સમયે રસ્તા પર માર મારવાની ઘટનાના પગલે આસપાસના લોકો દ્વારા આ બાળકને તાત્કાલિક સારવાર માટે સર.ટી.હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો .જ્યાં તેની સારવાર હાથ ધરવામાં આવી છે તેમજ ચાઈલ્ડકેર ના અધિકારી દ્વારા આ મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે તેમજ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે .