ભાવનગર શહેરમાં થોડા દિવસની શાંતિ બાદ ફરી રક્તરંજિત બન્યું હતું. કાલે બપોરના સમયમાં શહેરના સુંદરાવાસ બંગલાની પાછળના ભાગે બોરતળાવના સ્ત્રાવ વિસ્તારની અવાવરૂ જગ્યા પરથી એક સોની યુવકની છાતીના ભાગે છરીના ત્રણ ઘા ઝીંકી હત્યા કરી અને ફેંફી ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવના પગલે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે લાશને પી.એમ માટે મોકલી આપી છે જયારે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ પોલીસના હાથવેંતમાં હોય તેવું લાગી રહ્યું છે.
ભાવનગર શહેરની ઓળખ હવે બિહારના રાજ્ય જેવી થતી જાય છે. લોકોની હત્યા કરી નાખવી એ હવે સામાન્ય ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ થોડા દિવસો પહેલા ૬ દિવસમાં પાંચ હત્યાના બનાવો અને બાદમાં થોડા દિવસની શાંતિ બાદ આજે ફરી વધુ એક હત્યાનો બનાવ બનવા પામ્યો હતો.
શહેરના ઇસ્કોન ક્લબના પાછળના ભાગે એટલેકે સુંદરાવાસ બંગલાની પાછળ બોરતળાવના સ્ત્રાવ વિસ્તારની અવાવરું જગ્યા પરથી એક લાશ મળી આવી હતી સાથે એક એકટીવા સ્કુટર પણ સ્થળ પર પડ્યું હતું જેમાં કોઈ કાગળોનું બંડલ હોય જેમાં વારાહી બુકસ્ટોરનું નામ જોવા મળતા પોલીસે આ દુકાનદારનો સંપર્ક કર્યો હતો જેમાં સ્કુટરના વર્ણનના આધારે આ યુવક સોની વિનીલ અજયભાઈ ભડીયાદરા કે જે તેના બુક સ્ટોરમાં નોકરી કરતો હોય જેને કાગળોનું પાર્સલ કરવા માટે મોકલ્યો હતો અને જે સવારે 11 વાગ્યા આસપાસ નીકળ્યા બાદ હજુ પરત નથી ફર્યો તેમ જણાવતા અને બાદમાં બુક સ્ટોરના માલિકે જાતે આવી જોતા મરણ જનાર વિનીલ અજયભાઈ ભડીયાદરા હોવાનું જણાવ્યું હતું. પોલોસે તપાસ કરતા વિનીલના પેટના ભાગે 3 છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી હતી. તેમજ તેનો શર્ટ અને મોબાઈલ તેમજ ખિસ્સામાં રહેલી અન્ય વસ્તુઓ પણ ગુમ હોય પોલીસે તમામ બાબતની તપાસ કરી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં જે તથ્ય સામે આવી રહ્યું છે જેમાં વિનીલને કોઈ સાથે આર્થિક લેવડદેવડનો મામલો હોય જે મામલે અગાઉ પણ તેને છરીનો ઘા મારવામાં આવ્યો હતો પરંતુ ત્યારે પોલીસ ફરિયાદ કરવામાં આવી ના હતી જેથી આ માથાભારે લોકોએ આજે તેનું કાળશ કાઢી નાખ્યું હતું. આ બનાવમાં જે મહત્વની બાબત સામે આવી રહી છે તેમાં વિનીલની હત્યા કોઈ અન્ય સ્થળ પર કરી નાખવામાં આવી છે અને ત્યારબાદ એક બાઈક બે યુવાનો તેને વચ્ચે બેસાડી અને બોરતળાવના સ્ત્રાવ વિસ્તારની અવાવરું જગ્યા પર ફેંકી ગયાનું તેમજ તેની સાથે બીજા બાઈક પર અન્ય બે વ્યક્તિ અને એક વ્યક્તિ વિનીલ ના સ્કુટર સાથે જતી હોવાનું પણ પોલીસને સીસીટીવીમાં નજરે પડતા તેમજ પોલીસે આ બનાવમાં મરણજનાર યુવકના પિતાની ફરિયાદના આધારે હત્યારાને ઝડપી લેવાના ચક્રોગતિમાન કર્યા છે અને આરોપીઓ હાથવેતમાં હોય તેવું લાગી રહ્યું છે.