ભાવનગર,
મહુવા વિહિપના પ્રમુખની હત્યાના ચારેય આરોપીઓ ઝડપાઇ ગયા છે. ત્યારે એક આરોપીના ઘેર લોકોના ટોળા દ્વારા હુરિયો બોલાવતા મામલો તંગ બન્યો હતો. હાલ મહુવામાં ફરી પરિસ્થિતિ તંગ બની ગઈ છે. 23મી ઓક્ટોબરના રોજ વીએચપીના શહેર પ્રમુખની થયેલી હત્યા મામલે ગુરુવારે સાંજે ફરીથી હિંસા ફાટી નીકળી હતી.
બે દિવસ પહેલા થયેલી હત્યા બાદ મહુવામાં ભારેલા અગ્નિ જેવો માહોલ છવાયો હતો. બનાવને પગલે પોલીસે જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો હતો.બીજી તરફ 31મી સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. મહુવામાં હાલ અજંપા ભરી શાંતિ પ્રસરી ગઈ છે.
હિંસા બાદ ભાવનગર કલેક્ટર હર્ષદ પટેલે જાહેરનામું બહાર પાડીને શુક્રવારથી લઈને 31મી ઓક્ટોબર સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ મોરારિ બાપુએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી.
ગુરુવારે સવારે બજારો ખુલી હતી. પરંતુ સાંજે ફરી હિંસા ભડકી હતી. શુક્રવારે પણ શહેરની મુખ્ય બજારો બંધ રહી છે. પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. ગુરુવારે સાંજે ટોળાએ ઠેકઠેકાણે તોડફોડ અને વાહનો સળગાવ્યા હતા. પોલીસે ટોળા પર કાબૂ મેળવવા માટે ટિયર ગેસના સેલ પણ છોડ્યા હતા.