અમદાવાદ: ખેતીની જમીનને બિનખેતી કરવાના મામલે Botad જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન અને સભ્ય રૂપિયા ૮૦ હજારની લાંચ લેતાં એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાય ગયા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર, આણંદ અને ગાંધીનગરમાં એક સમયે સિટી બસ સેવા ચલાવતી વિટકોસ નામની સંસ્થાના સંચાલક એવા હરેશ ડોડિયા બોટાદમાં આવેલી પોતાની દસ હજાર મીટર જમીનને બિન ખેતી કરાવીને તેના પર સ્કૂલ બનાવવા માંગતા હતા. આથી હરેશ ડોડિયાએ બોટાદ જિલ્લા પંચાયતમાં અરજી કરી હતી.
આ અરજીના અનુસંધાનમાં આ ફાઈલ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિમાં મંજૂરી માટે આવી હતી. આથી કારોબારી સમિતિના સભ્ય ઈશ્વર ભરાડિયાએ જમીનના માલિક હરેશ ડોડિયાને ફોન કારીને જણાવ્યું હતું કે, ‘તમારી જમીન બિનખેતી કરાવવી હોય તો પ્રતિ મીટર આઠ રૂપિયા લેખે ૮૦ હજાર આપો તો તમારી ફાઈલને સમિતિ મંજૂરી આપશે.’ જે અંગે હરેશ ડોડીયાએ કહ્યું હતું કે, તેઓ ભાવનગર રહે છે. આવતીકાલે બોટાદ આવીને પૈસા આપી દેશે પણ તમે મારું કામ સમિતિમાં મંજૂર કરાવી દેજો.
આ ફોન બાદ હરેશ ડોડિયાએ એસીબીના તોલ ફ્રિ નંબર ૧૦૬૪ પર ફોન કરીને તેમની પાસે લાંચ માંગવામાં આવી હોવાની ફરિયાદ કરી હતી.
જેના સંદર્ભે એસીબી પોતાનું કામ કરે તે અગાઉ શુક્રવારે કારોબારી સમિતિના ચેરમેન ચમનભાઈ બાબુભાઈ ખંભાળિયા (બી.સી. ખંભાળિયા)એ પણ હરેશ ડોડિયાને ફોન કરીને કીધું હતું કે, પૈસા મળશે તો જ ફાઈલ ઉપર સહી થશે, મેં હજુ ફાઈલ પર સહી કરી નથી.
આ દરમિયાન હરેશ ડોડિયા પંચો સાથે જિલ્લા પંચાયત કચેરીમાં પહોંચી ગયા હતા અને તેમણે કારોબારી ચેરમેન ખંભાળિયાને કહ્યું હતું કે, તે પૈસા લઈને અઆવ્યા છે. આથી કારોબારી ચેરમેને વિભાગમાંથી હરેશ ડોડિયાની ફાઈલ મંગાવીને તેની ઉપર સહી કરી દીધી હતી. આથી ત્યાં હાજર એસીબીની ટીમે ખંભાળિયાને લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા હતા.
એસીબીની ટીમે કારોબારી ચેરમેન સી. બી. ખંભાળિયા અને કારોબારી સભ્ય ઈશ્વર ભરાડિયા સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
આ બંનેને ભાજપ અને કોંગ્રેસ પોતાના સભ્યો હોવાનું નકારી રહ્યા છે. કારણ કે, આ બંને પહેલા ભાજપમાં હતા, પાટીદાર આંદોલન શરૂ થયા બાદ તેઓ કોંગ્રેસ સાથે જોડાયા હતા. ત્યાર બાદ આ બંનેએ વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ઉર્જામંત્રી સૌરભ પટેલના સમર્થનમાં રેલી પણ યોજી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, હરેશ ડોડિયા પણ ઉર્જામંત્રી સૌરભ પટેલના સમર્થક છે. સૌરભ પટેલ થકી જ તેમણે ભાવનગર, ગાંધીનગર અને આણંદમાં વિટકોસ શરૂ કરી હતી.