અમદાવાદ: ગુજરાતમાં ધનતેરસના શુભ દિવસે લોકોમાં સોના-ચાંદીની ખરીદીમાં આ વખતે ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. તેમાં પણ સારાં ચોઘડિયામાં સોના-ચાંદીની ખરીદી માટે જવેલર્સની દુકાનો અને શો રૂમ રીતસરની લાઈનો લાગેલી જોવા મળી હતી. ધનતેરસના દિવસે સોમવારે રાજ્યભરમાં અંદાજે ૩૦૦ કિલો સોનું અને 400 કિલો ચાંદીનું વેચાણ થયું હતું. આ વેચાણમાંથી 50 ટકા ખરીદી એટલે કે, ૧૫૦ કિલો સોનું અને ૨૦૦ કિલો ચાંદી તો ફક્ત અમદાવાદીઓએ કરી હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષથી વૈશ્વિક તેજીના પગલે સોનાના ભાવમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે ધનતેરસ હોય કે દશેરા, પુષ્યનક્ષત્ર હોય કે દિવાળી સોનાની ખરીદી ગુજરાતીઓ અને અમદાવાદીઓ માટે હમેશા એવરગ્રીન રહી છે.
સોમવારે શહેરના માણેક ચોક, સી.જી. રોડ સહિતના વિવિધ બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. સોની બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વખતે પૂજનના મૂહુર્ત મોડા હોવાના કારણે ગ્રાહકો પણ સોના-ચાંદીની ખરીદી મોડી રાત્રે કરવા નીકળ્યા હતા તેમજ ડિલીવરી લીધી હતી. જેના કારણે મોડી રાત સુધી સોની બજારો ધમધમતા જોવા મળ્યા હતા. ગુજરાતીઓ સહિતના સૌ કોઈ સોનાને સલામત રોકાણના વિકલ્પ તરીકે પસંદ કરીને તેની મોટી માત્રામાં ખરીદી કરી રહ્યા છે. હવે જેના કારણે તહેવારો દરમિયાન ખરીદીમાં વધારો થયો છે.
ચોપડા પૂજન માટે ચોપડાની ખરીદીમાં પણ ભીડ
હાલના ઇન્ટરનેટ અને ઓનલાઇન યુગમાં પણ વેપારીઓએ પરંપરાગત ચાલતા ચોપડા પૂજન માટે ખરીદી કરી હતી. વેપારીઓનું કહેવું છે કે, કાગળ પર 18 ટકા જીએસટી લાગવાના કારણે રોજમેળના ભાવમાં 25 ટકાનો વધારો થયો છે તેમ છતાં ધનતેરસે વેપારીઓ ચોપડા ખરીદી કરવા ઊમટી પડ્યા હતા.
ગુજરાત બુક સેલર્સ એન્ડ સ્ટેશનરી એસો.ના સૂત્રોના જણાવ્યા મુજબ, ગત વર્ષની સરખામણીએ આ વખતે રોજમેળના ભાવમાં 25 ટકાનો વધારો છે. આદિકાળથી રૂપિયાનો સવા રૂપિયો થાય તે માટે વેપારીઓ ચોપડામાં ‘શ્રી સવા’ કરીને લોકો દિવાળીના દિવસે ચોપડાનું પૂજન કરતા હોય છે.