છારાનગર પોલીસ દમન મામલાની ગુરુવારે મેટ્રો કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી, જેમાં આરોપી પીએસઆઇ જે.જી. ધિલ્લોન અને પીએસઆઇ પટેલ પોતે આરોપી હોવા છતાં પણ, પોલીસ યુનિફોર્મ પહેરીને આવતા કોર્ટે તેમનો ઉધડો લીધો હતો. અને બંને આરોપીઓને કાયદાનું ભાન કરાવતા આગામી સુનાવણીમાં યુનિફોર્મ પહેરી ન આવવા ટકોર કરી હતી.
છારાનગર પોલીસ દમનની ઘટનાની સુનાવણીમાં મેટ્રો કોર્ટે જેસીપી અશોક યાદવ, પીઆઇ વિરાણી અને પીએસઆઇ મોરી બંદોબસ્તમાં વ્યસ્ત હોવાના કારણે હાજર રહી શક્યા નહતા. જેથી કોર્ટે સમય અને સંજોગોને ધ્યાનમાં રાખતા, આગામી સુનાવણી 13 નવેમ્બરે હાથ ધરવાનો હુકમ કર્યો છે.
મેટ્રો કોર્ટે સુનાવણીમાં પીઆઇ સહિતના ઉચ્ચ અધિકારીઓને કોર્ટમાં હાજર રહેવાનો હુકમ કર્યો હતો. એટલું જ નહિ સમગ્ર મામલામાં સંડોવાયેલા પીએસઆઇ જે.જી. ધિલ્લોન, પીએસઆઇ પટેલ અને પીએસઆઈ મોરીને કોર્ટમાં હાજર રહેવાનો ખાસ હુકમ કર્યો હતો.
જણાવી દઈએ કે, છારાનગરમાં પોલીસે કરેલા લાઠીચાર્જમાં કેટલાક લોકકોને શારીરિક ઇજા પહોંચી હતી. પોલીસે રાયોટિંગની કલમ લગાડી 20થી વધારે સ્થાનિક લોકોની ધરપકડ કરી હતી. જેમાં એક પ્રેસ ફોટોગ્રાફર અને વકીલ પણ સામેલ હતા.
પોલીસના આ અત્યાચાર સામે વકીલ આલમ અને મીડિયા જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. તમામે આ ઘટનાને વખોડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.