અમદાવાદ,
પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલાઓને ધ્યાને રાખીને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં અરજદાર વતી કોર્ટની સમક્ષ એવી રજુઆત કરાઇ છે કે નિર્દોષ વ્યક્તિઓ પર થઈ રહેલા બેફામ હુમલાઓને કારણે હજારો લોકો હિજરત કરી રહ્યા છે અને ડરના માર્યા લોકો પોતાના કામ પર જઈ શકતા નથી.
ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ કેઆર કોષ્ટિએ પીટીશન દાખલ કરીને તાજેતરમાં રાજ્યમાં પરપ્રાંતીયો પર થયેલા હુમલાઓમાં ભોગ બનેલાઓને વળતર આપવાની માંગણી કરી હતી.હાઇકોર્ટે ગુજરાત સરકાર પાસે આ મામલે જવાબ માંગ્યો છે.
સરકાર અને પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા હોવાની પણ રજૂઆત અરજદારે કરી છે. એટલું જ નહીં અરજદાર દ્વારા હુમલાના ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. અરજદાર નું માનવું એવું છે કે વાઇબ્રન્ટ ગુજરાતની પરિસ્થિતિ કથળે તે પહેલાં યોગ્ય પગલા લેવામાં આવે.
આમ, હાઇકોર્ટે અરજદાર વતી આવેલી રજુઆતોને સાંભળીને સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે તેનો જવાબ આગામી સુનાવણીમાં આપવાનો રહેશે તેવો હાલ હુકમ હાઇકોર્ટે કર્યો છે અને આ માટેની વધુ સુનાવણી આગામી સપ્તાહે હાથ ધરાશે.