અમદાવાદ: અમદાવાદ જિલ્લાના બાવળામાં બે જૂથો વચ્ચે મંગળવારે મોડી રાતે બબાલ થતાં બુધવારે બન્ને સમાજના લોકોએ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં બન્ને સમાજના ચાર વ્યક્તિને ઈજા પહોંચી છે, જેના કારણે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કાવિઠા ગામે દલિત સમાજનો એક યુવક પાનની દુકાને ગયો હતો. જ્યાં રાજપૂત સમાજના યુવકોએ તેને અટકાવીને સવાલો કર્યા હતા કે, તે કેમ બરમૂડો પહેર્યો છે અને મૂંછ શા માટે રાખી છે?
જોકે આ ઘટનાની અગાઉ પણ થોડા દિવસો પહેલા જ આ યુવકોની વચ્ચે બબાલ થઈ હતી અને મંગળવારે ફરીથી બબાલ થઇ હતી. જેમાં બન્ને સમાજના લોકો આમને સામને આવી ગયા હતાં અને મારામારી પર ઉતરી આવ્યા હતા.
જેમાં ચાર જણને ઇજાઓ પહોંચી હતી. તેમાંથી એક વ્યક્તિને અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેમને અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટના અંગે પોલીસનું કહેવું છે કે, ‘કાવિઠા ગામના દલિતોએ ફરિયાદ કરી છે કે, તેમનો એક છોકરો બરમૂડો પહેરીને પાનની દુકાનમાં ગયો હતો. જ્યાં તેણે આવા કપડા કેમ પહેર્યા છે? તે કહેવાના મામલે બોલાચાલી થઈ હતી. જેના કારણે મામલો બીચકયો હતો જેથી બન્ને પક્ષના લોકો આમને સામને આવી ગયા હતા. જેમાં બન્ને પક્ષના લોકોને ઈજા થઈ છે.’
આ સમગ્ર મામલાની તપાસ હાલ અમદાવાદ રૂરલ પોલીસના ડીવાયએસપી ચલાવી રહ્યા છે. ઈજા પામેલા લોકો અને ઘટના સમયે ત્યાં હાજર લોકોની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. ભૂતકાળમાં પણ આવા કારણોસર માર મારવાની ઘટના બની હતી. અને તેના પડઘા અન્ય જિલ્લાઓમાં પણ પડ્યા હતાં. જેથી આ સંવેદનશીલ મામલાની તપાસ સંપૂર્ણ તકેદારી રાખીને કરવામાં આવી રહી છે.