અમદાવાદ,
ગુજરાત સરકારે દારુના દુષણને નેસ્તનાબુદ કરવા તેમજ દારુબંધીના કડક અમલ માટે નવા કાયદા બનાવ્યા છે પણ, બુટલેગર અને ખેપીયાઓ દારુબંધીના કાયદાઓની ઐસીતૈસી કરી રહ્યા છેે. અમદાવાદના વાડજ વિસ્તારમાંથી નકલી વિદેશી દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.
વાડજ વિસ્તારના આનંદનગરમાં બે શખ્સોએ શહેરમાં વિદેશી દારુની મોટી માંગને કારણે નકલી વિદેશી દારુ બનાવવાનું ખતરનાક કાવતરું ઘડ્યું હતું. બંને શખ્સોએ આનંદનગર પોસેના એક છાપરામાં નકલી વિદેશી દારુ બનાવતા હતા. અસલી વિદેશી દારુની બોટલમાંથી દારુ કાઢીને તેમાં પાણી એને કેમીકલ્સ ભેળવતા હતા ત્યારબાદ તેઓ નકલી વિદેશી દારુને જુદી-જુદી વિદેશી દારુની બ્રાંડની બાટલીમાં પેક કરીને બનાવટી દારૂ તરીકે વેચતા હતા.
આ બનાવની જાણ વાડજ પોલીસને થતા તેઓએ નકલી વિદેશી દારુ બનાવનાર શંકર ઉર્ફે મારવાડી ભુરાલાલ તૈલી અને બળવંતસિંહ કેશરસિંહ રાજપુતની ધરપકડ કરી હતી. વાડજ પોલીસે અસલી વિદેશી દારુની બોટલોનો જથ્થો, નકલી વિદેશી દારુ ભરેલી બોટલોનો જથ્થો, મોબાઈલ ફોન અને એક્ટીવા સહિતનો આશરે અઢી લાખ રુપીયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બંને શખસ બે ત્રણ માસથી નકલી વિદેશી દારુ બનાવીને વેચતા હાવાની કબુલાત કરી હતી.