અમદાવાદ.
25 જુલાઈ 2018.
અમદાવાદ મહાનગર પાલિકાના ૧૩ હજાર કર્મચારીઓ જે હડતાલ પર ઉતર્યા હતા તે કામદારો આજે સત્તાવાર હડતાલ સમેટી કામ પર પરત ફર્યા છે. ત્યારે આજ સવારથી જ કામદારોએ કામ કરવાનું શરુ કર્યું છે. આપણે જણાવી દઈએ કે આજ સાંજ સુધી શહેરમાં જે કચરો નાખવામાં આવ્યો છે તે પણ મોળી સાંજ સુધીમાં સાફ કરવામાં આવશે.
ત્યારે આજે ખાસ સફાઈ કામદારના કર્મચારીઓએ આ બાબતે શહેરીજનોની માફી માંગી અને આગામી સમયમાં શહેરને તેમના દ્વારા બાનમાં લેવામાં નહીં આવે તેવી પણ ખાતરી આપી છે. ત્યારે મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ કામદારોના પ્રશ્નોનું નિરાકાન લાવવાની ખાતરી આપી છે.
આ મુદ્દે વધુ પ્રકાશ પાડતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ અમદાવાદવાસીઓને તેમજ મીડિયાને તંત્રનો સાથ-સહકાર આપવા બદલ ધન્યવાદ આપતા જણાવ્યું હતું કે,
“સફાઈ કર્મચારીઓએ આજ રોજ તેમની હડતાળ પરત ખેંચી લીધી છે, અમારા દ્વારા સફાઈ કર્મચારીઓના મજુર વર્ગ સાથે અડધી કલાક ચર્ચા કરવામાં આવી છે. સફાઈ કર્મચારીઓને તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે જે નિષ્ઠાથી કામકાજ કરશે તેના વિશે આગળ વિચારવામાં આવશે. તેમજ આજ મોડી સાંજ સુધીમાં શહેરનો તમામ કચરો સાફ કરી નાખવાનું સફાઈ કર્મચારીઓ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે.”
જયારે નોકર મંડળ પ્રમુખ કલ્પેશ મકવાણાએ આ મુદ્દે જણાવ્યું હતું કે,
“કમિશ્નરશ્રી સાથે આજ રોજ બેઠક થઇ હતી. જેમાં સફાઈ કામદારોના પ્રશ્નોને ઉઠાવવામાં આવ્યા હતા. જે મુદ્દે કમિશ્નરશ્રીએ સફાઈ કામદારોને આશ્વાસન પાઠવ્યું છે કે તેમના પ્રશ્નોને સાંભળવામાં આવશે અને કામદારોના કાયમિક થવા મુદ્દે બાહેંધરી આપી છે. સફાઈ કામદારો દ્વારા શહેરીજનોને જે તકલીફ પડી છે તેના માટે સમસ્ત નોકર મંડળ શહેરીજનોને માફી માગે છે.”