સાબરકાંઠાના ઢૂંઢર ગામે 14 બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ પરપ્રાંતીયો પર હુમલાના બનાવો બની રહ્યા છે. જેથી ડરના માર્યા પરપ્રાંતીયો ગુજરાત છોડી એમના વતનમાં પાછા ફરી રહ્યા છે. ત્યારે હિન્દી ભાષામાં વોટ્સએપ પર વાયરલ થયેલા એક મેસેજમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે, જો 15 ઓક્ટોબર સુધીમાં અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં નહિ આવે, તો ઉત્તર ભારતના દરેક રાજ્યો કોંગ્રેસને આજીવન મત નહિ આપે.
અલ્પેશ ઠાકોર વિરુદ્ધ હિન્દી ભાષામાં જે મેસેજ વાયરલ થયો છે, એમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર હુમલા બાબતે એક જરૂરી સૂચના, સમાચાર માધ્યમો દ્વારા ખબર પડી છે કે, આ હુમલાઓ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ઠાકોર સેના કરી રહી છે. આ એ જ અલ્પેશ ઠાકોર છે, જેને કોંગ્રેસે બિહારના પ્રભારી બનાવ્યા છે. અને તે જ ગુજરાતમાં રહેતા ઉત્તર ભારતીયો પર હુમલા કરી રહ્યા છે. આમ કોંગ્રેસની બેવડી નીતિ છતી થઇ છે. જયારે પોલીસે 300 લોકો વિરુદ્ધ કેસ કર્યા, તો આ અલ્પેશ ઠાકોર હુમલાખોરોના બચાવમાં આવી ગયા હતા, તેમજ ગુજરાત સરકારને 72 કલાકમાં બધાને મુક્ત કરવા ચીમકી આપી હતી. ઉપરાંત મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, આ સંદેશને વધારેમાં વધારે શેર કરો જેથી રાહુલ ગાંધી અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાંથી તગેડી મૂકે.
અમે ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડના લોકો જે ગુજરાતમાં રહીને કામ કરી રહ્યા છે, અમને એમની સુરક્ષાની ચિંતા છે. જેથી અમે કોંગ્રેસ અધ્યક્ષને 15 ઓક્ટોબર સુધીનો સમય આપી રહ્યા છીએ. જો 15 ઓક્ટોબર સુધીમાં અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં નહિ આવે, તો ઉત્તર ભારતના રાજ્યો કોંગ્રેસને ક્યારે પણ વોટ ન આપે એવા સોગંધ આપવાનું શરુ કરવામાં આવશે.