સુરત,
ઉધના રેલવે સ્ટેશન પર જ્યાં આવતીકાલે શનિવાર એ રેલવે મંત્રી પિયુષ ગોયેલ તથા રેલવે રાજ્યમંત્રી રાજેન ગોહાઈ આવવાના છે તે ઉધના રેલવે સ્ટેશનના યાર્ડમાં એક કન્ડમ બંધ કોચમાં બપોરે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. રેલવે તંત્ર કંઈ સમજે તે પહેલા આગે આખા કોચને લપેટમાં લઈ લીધો હતો. આગને પગલે ધુમાડાના ગોટેગોટા દુર સુધી દેખાતા હતા. યાત્રીઓમાં નાસભાગ મચી હતી જોકે બે ફાયર ફાઈટરોએ આગને કાબુમાં લીધી હતી. રેલવે મંત્રીના આગમન પૂર્વે તંત્ર તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે આગ કોઈ ટિખળખોરોએ લગાવી હોવાની દિશામાં આરપીએફ અને જીઆરપીએ તપાસ શરુ કરી છે.
આવતીકાલે શનિવાર એ ઉધના રેલવે સ્ટેશન પર ત્રણ નવી ટ્રેનોને લીલી ઝંડી આપવાના પ્રધાનમંત્રી મોદીના વીડીયો લિંકના કાર્યક્રમની સમાન્તર કાર્યક્રમ છે અને તેમાં રેલવે મંત્રી પિયુષ ગોયેલ તથા રેલવે રાજ્યમંત્રી રાજેન ગોહાઈ આવવાનું પ્લાનિંગ છે. એક તરફ ઉધના રેલવે સ્ટેશન પર રેલવે તંત્ર તેની તૈયારીમાં લાગ્યુ છે ત્યારે બરાબર સામેના યાર્ડમાં જ બ્રેક ડાઉન સ્ટાફની ટ્રેનિંગ માટે રખાયેલા બિન ઉપયોગી કોચમાં આગ લાગી. ઘટનાને પગલે રેલવે તંત્ર તૈયારી મુકી ત્યાં દોડી ગયું હતું અને જોડાયેલા કોચ પૈકી આગવાળા કોચને અલગ પાડ્યો હતો અને બાદમાં સુરત ફાયર બ્રિગેડની મદદથી આગને કાબૂમાં લીધી હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કોઈ અસામાજિક તત્વોએ બે વાર આવા જ ખાલી કોચમાં આગ ચાંપી હતી અને તેમાં રેલવે એ તપાસ નીમી હતી. ઉધના રેલવે યાર્ડમાં પડ્યા પાથર્યા રહેતા અસામાજિક તત્ત્વોને પણ આવી ઘટનાને અંજામ આપતા હોવાનું તારણ છે . રેલવે પોલીસ તેઓને દુર કરવામાં નિષ્ફળ નીવડી છે.