અમદાવાદ: અમદાવાદ શહેરની રેશનિંગની દુકાનોમાં અનાજના જથ્થાની વહેંચણીમાં ગેરરીતી કરવામાં આવતી હોવાની ફરિયાદના આધારે પુરવઠા વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ગેરરીતિ બદલ પાંચ રેશનિંગની દુકાનોના લાઈસન્સ રદ કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં પુરવઠા વિભાગ દ્વારા ગેરરીતિ બદલ રેશનિંગની પાંચ દુકાનોના લાઈસન્સ (પરવાના) રદ કરવામાં આવ્યા કર્યા છે. જે પાંચ દુકાનોના લાઈસન્સ રદ કરવામાં આવ્યા છે તેમાં શહેરકોટડા, મણિનગર અને રખિયાલની રેશનિંગની પાંચ દુકાનના પરવાના રદ કરવામાં આવ્યા છે.
શહેરકોટડા, મણિનગર, રખિયાલની દુકાનોનો સમાવેશ
પુરવઠા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ પુરવઠા વિભાગની ટીમ દ્વારા રેશનિંગની દુકાનોમાં સરપ્રાઇઝ ચકાસણીની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી અંતર્ગત જે દુકાનો દ્વારા ઓફલાઇન જથ્થાનું વિતરણ કરવામાં આવે છે તેવી દુકાનોમાં ચકાસણી કરવામાં આવી રહી છે. આવા સંજોગોમાં જો આવી દુકાનોમાં ગેરરીતિ બહાર આવશે તો તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તેમને જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં પુરવઠા વિભાગ દ્વારા 14 ઝોન પાડવામાં આવ્યા છે. આ 14 ઝોનમાં ૮૬૫ રેશનિંગની દુકાનો આવેલી છે. આ કામગીરી અંતર્ગત શંકાના આધારે શહેરની ૨૩ દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ કરાયા પછી શહેરના શહેરકોટડા, મણિનગર અને રખિયાલ વિસ્તારની પાંચ દુકાનોમાં અનાજ અને ચીજવસ્તુઓના પુરવઠાના હાજર જથ્થા અને વેચાણ જથ્થામાં ગેરરીતિ થઈ હોવાની વિગતો બહાર આવી હતી. એટલું જ નહીં, દુકાનની ખરીદી અને વેચાણ અંગેના આંકડાઓ પણ ખોટા હોવાનું સામે આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં 14 ઝોનમાં 865 રેશનિંગની દુકાનો આવેલી છે. જેમાંથી શંકાના આધારે 23 દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસના અંતે પાંચ દુકાનોના સંચાલકો સામે પગલાં ભરવામાં આવ્યા છે. રેશનિંગની દુકાનોમાં ઓફલાઇનના બહાને વેપારીઓ વધારાનો જથ્થો બારોબાર વેચી દેતા હોવાની વ્યાપક ફરિયાદો પુરવઠા વિભાગને મળી હતી. આ ફરિયાદોના આધારે તપાસ કર્યા બાદ આ પગલાં ભરવામાં આવ્યા છે.