દર વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાના વેચાણમાં વધારો જોવા મળે છે તેની સાથે સાથે ભાવવધારો પણ દર વર્ષે થાય છે. આ વર્ષે ઊલટું છે. જીએસટીમાં દસ ટકાનો ઘટાડો થતાં તેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે.
આ વર્ષે શહેરમાં 30થી 35 કરોડના ફટાકડાના વેચાણનો અંદાજ છે. જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારે ફટાકડા પર 28 ટકા ટેક્સ હતો. ત્યાર બાદ આ ટેક્સ ઘટાડવા માટે જીએસટી કાઉન્સિલને રજૂઆત કરવામાં આવી હતી તેના પગલે કાઉન્સિલે 10 ટકા ટેક્સ ઘટાડીને 18 ટકા કરી દીધો છે.
જીએસટીના કારણે ત્રણ રાજ્યમાં વસૂલાતા ટેક્સમાંથી પણ મુક્તિ મળી છે. શહેરમાં તામિલનાડુથી પણ ફટાકડા આવતા હોય છે. તેથી ફટાકડા લઈને આવતી ટ્રક તામિલનાડુથી નીકળી કર્ણાટક, મહારાષ્ટ્ર અને ત્યાર પછી ગુજરાતમાં આવે એટલે ત્રણ જગ્યાએ ટેક્સ ભરવો પડતો હતો. હવે જીએસટી એક જ ભરવાનો હોવાથી ફટાકડા સસ્તા થયા છે.