ગાંધીનગર: રાજ્યમાં પ્લાસ્ટિકના વપરાશથી પ્રદૂષણ અને ગંદકીમાં વધારો થતો હોવાને પગલે Gujarat સરકાર દ્વારા 50 માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. જેના અંતર્ગત રાજ્યનાં તમામ યાત્રાધામોમાં કાપડની બેગનું વિતરણ કરવાનો રાજ્યના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત યાત્રાધામની બહાર વેપારી પ્રવૃત્તિઓ કરતા વેપારીઓને પણ એક વખત વિનામૂલ્યે કાપડની થેલીઓ આપવામાં આવશે.
રાજ્યનાં યાત્રાધામોને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે સરકારનું આયોજન
રાજ્યના તમામ યાત્રાધામોને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ તથા ખાનગી કંપનીએ સાથે મળીને ત્રણ મહિનાની અંદર અંદાજે બે કરોડ જેટલી કાપડની બેગ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના ભાગરૂપે પ્રથમ તબક્કામાં દસ લાખ જેટલી કાપડની થેલીઓ યાત્રાધામ અને સ્વછતાના લોગો સાથે મંદિર અને મંદિરની બહાર વેપાર કરતા વેપારીઓને આપવામાં આવશે.
ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ કિરીટ અધ્વર્યુએ જણાવ્યુ હતુ કે યાત્રાધામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત આગામી સમયમાં ફક્ત યાત્રાધામની કપડાની બેગ બનાવવા અંગેનું પણ આયોજન કરવામાં આવશે.
યાત્રાધામનો લોગો, સ્વછતા અભિયાન અને પ્લાસ્ટિક મુક્તના મેસેજ મુકાશે
યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવનારી કાપડની બેગમાં યાત્રાધામનો લોગો, સ્વચ્છ ભારતનો લોગો સાથે યાત્રાધામ દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્લોગન જેવા કે સ્વસ્છ યાત્રાધામ-પ્લાસ્ટિક મુક્ત યાત્રાધામ જેવા સ્લોગન મુકવામાં આવશે.
પ્રસાદના બોક્સની સાઈઝ મુજબની બેગો તૈયાર કરાશે
ગુજરાતના અંબાજી, સોમનાથ, પાવાગઢ જેવા સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં પ્રસાદ માટેના જે બોક્સમાં આપવામાં આવે છે. તે જ સાઇઝની કાપડની બેગ તૈયાર કરીને જે તે યાત્રાધામોને આપવામાં આવશે. જ્યારે વેપારીઓને પણ ત્રણ મહિના બાદ કાપડની બેગનો ઉપયોગ કરવાનો સ્થાનિક તંત્ર દ્વારા આદેશ પણ આપી દેવામાં આવશે.