ચક્રવાતી વાવાઝોડું તૌકતે વધારે મજબૂત થઈ રહ્યું છે, વાવાઝોડું મહુવા અને પોરબંદર વચ્ચે 18મીની સવારે ટકરાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. આ બધાની વચ્ચે ગુજરાતમાં રુપાણી સરકારે સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ હોવાની વાત કરી છે. આ વાવાઝોડું શનિવારે રાત્રે તોફાની વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે, વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ વધવાની સાથે 18મીએ પોરબંદર અને નલિયા વચ્ચે ટકરાય તેવી સંભાવના છે. આ સાથે સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતની સાથે મુંબઈ પણ પ્રભાવિત થઈ શકે છે. બીજી તરફ વાવાઝોડાની સંભાવનાને જોતા રાજ્યો, કેન્દ્રીય મંત્રાલયો અને એજન્સીઓની તૈયારીઓની વિગતો લેવા માટે મહત્વપૂર્ણ બેઠક કરી હતી.
આ પણ વાંચો :ગોવાના CM નો પ્રજાલક્ષી નિર્ણય, તમામ ખાનગી હોસ્પિટલમાં ફ્રીમાં થશે કોરોનાની સારવાર
મહત્વનું છે કે, કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. અને બીજી લહેર વધારે ખતરનાક હોવાથી લોકોને તૌકતે અને કોરોનાથી બચાવવા માટે સરકારે ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. સ્થળાંતર થનારા લોકોના પહેલા એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે ત્યારબાદ તેમને સ્થળાંતર કરાશે.
મળતી માહિતી પ્રમાણે એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ તૌકતે વાવાઝોડાનું સંકટ વચ્ચે તંત્રએ પહેલાં તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યુ છે. કાંઠા વિસ્તારમાં રહેતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે તેમાંથી પોઝિટિવ આવશે તેમને આઇસોલેટ કરવાની ફરજ પાડવામાં આવશે.
આ પણ વાંચો :23 વર્ષ પહેલા કંડલામાં આવેલા તોફાનનાં કારણે એક જ પરિવારનાં 16 સભ્યો જીવતા દરિયામાં હોમાયા હતા
દરમિયાન જે લોકો નેગેટિવ હશે તેમને શાળા અથવા કૉમ્યુનિટી હૉલમાં સલામત સ્થળે ખસેડાશે. જોકે, મોટા ભાગના ગામડાંઓમાં શાળા આવી આફતમાં શેલ્ટર હોમ તરપીકે કામ કરે છે પરંતુ આ વખતે કોરોનાના કારણે શાળાઓમાં સ્થળાંર શક્ય નથી ત્યારે જિલ્લા તંત્ર અન્ય વ્યવસ્થા કરશે.
આ સંભાવનાઓને પગલે ગીરસોમનાથ જિલ્લા તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અહીંયા જિલ્લાના 3 શહેરો અને 24 ગામડાઓ હાઇએલર્ટ પર છે. જ્યારે ગીરસોમનાથના આશરે 12,500 કરતાં વધુ કાંઠે વસતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડશે. જોકે, કોરોના કાળમાં આ સ્થળાંતર સહેલું નથી.
ગીર સોમનાથના સત્તાવાર અધિકારીના જણાવ્યા પ્રમાણે વાવાઝોડાની સંભાવનાઓને જોતા તંત્રએ પૂરતી તૈયારી કરી છે. અમને સરકાર તરફથી 8000 એન્ટિજન ટેસ્ટિંગ કીટ આપવામાં આવી છે જ્યારે 10,000 કીટની અલગ વ્યવસ્થા થઈ છે. આમ 12,500 વ્યક્તિના પહેલાં કોરોના ટેસ્ટ કરવામાં આવશે ત્યારબાદ આ તમામ લોકોને સલામત સ્થળાંતર કરી દેવામાં આવશે.
આ પણ વાંચો :પાટડી સરકારી તંત્ર દ્વારા ખારાઘોડા-ઝીંઝુવાડા રણમાંથી અગરિયાઓને સલામત રીતે ખસેડી રણ ખાલી કરાવ્યું
આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડા તૌકતેને ધ્યાનમાં રાખીને રાજ્યો, કેન્દ્રીય મંત્રાલયો અને એજન્સીઓની તૈયારીઓ વિશે માહિતી મેળવી છે, તેમણે શનિવારે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. જેમાં લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવા અને વીજળી, દૂરસંચાર, સ્વાસ્થ્ય, પીવાનું પાણી જેવી જરુરી સેવાને સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું છે. વડાપ્રધાન મોદીએ વાવાઝોડું જે જગ્યાઓ પર આવવાની સંભાવના છે, ત્યાં હોસ્પિટલો, કોવિડ મેનેજમેન્ટ, રસીકરણ, વીજળીની કમી ન થાય, તેના ઉપાયો અને જરુરી દવાઓની વ્યવસ્થા કરવા માટેની સૂચના આપી છે.
આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વડાપ્રધાન મોદીના મુખ્ય સચિવ, કેબિનેટ સચિવ, નાગરિક ઉડ્ડયન, સંચાર, દરિયાઈ જહાજ મંત્રાલયના સચિવ, NDRFના અધિકારીઓ, રેલવે બોર્ડના અધ્યક્ષ અને વડાપ્રધાન કાર્યાલય તથા ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.