ગાંધીનગર,
ગુજરાતમાં સિંહો તથા અન્ય વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધનને લઈ અનેક સવાલો સામે આવી ચુક્યા છે, ત્યારે આ મામલે રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ૧૪મી બેઠક મળી હતી, જેમાં અનેક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે.
CM વિજય રૂપાણીએ ગુજરાતમાં સિંહો તથા અન્ય વન્ય જીવોના સંરક્ષણ સંવર્ધન અને રોગચાળામાં સઘન સારવાર માટે ગીરમાં અદ્યતન સ્ટેટ ઓફ ધી આર્ટ હોસ્પિટલનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે.
તેઓએ કહ્યું હતું કે, ગુજરાતની વૈશ્વિક ઓળખ એશિયાટીક લાયન માટે ગીર વિસ્તારના ૮ રેસ્કયૂ સેન્ટરને પણ અદ્યતન બનાવવામાં આવશે. આ સમગ્ર કામગીરી માટે રૂ. ૮પ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર કરશે.
આ ઉપરાંત ૩ર રેપિડ રિસ્પોન્સ સટીમ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ જેવી નવી લાયન એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાશે.
આ બેઠકમાં વન મંત્રી ગણપતસિંહ વસાવા, રાજ્યમંત્રી રમણભાઇ પાટકર તેમજ બોર્ડના સભ્ય ધારાસભ્યશ્રીઓ, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તા, વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ માનદ સદસ્યો આ બેઠકમાં જોડાયા હતા.
વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે ઉભી કરવામાં આવશે આ સેવાઓ :
૧. સિંહ સહિત અન્ય વન્યજીવોની સારવાર-સુશ્રુષા માટે ગીરમાં રૂ. પ૦ કરોડના ખર્ચે અદ્યતન સ્ટેટ ઓફ ધ આર્ટ હોસ્પિટલનું નિર્માણ કરાશે
૨. ૮ રેસ્કયૂ સેન્ટર અદ્યતન બનાવવામાં આવશે
૩. સિંહોના લાંબાગાળાના સંરક્ષણ-સંવર્ધન માટે રૂ. ૩૫૧ કરોડનું રાજ્ય સરકારે આયોજન કર્યુ છે
૪. વન્યપ્રાણીઓની સારવાર-સુશ્રુષા માટે વેટરનરી કેડર ઊભી કરાશે
૫. ડ્રોન સર્વેલન્સ-સી.સી.ટી.વી. નેટવર્ક E-Eye પ્રોજેકટ અન્વયે સિંહ અને અન્ય પશુઓની રાત્રી મૂવમેન્ટ ગતિવિધિ પર નજર રખાશે
૬. ગેરકાયદે લાયન શો કરનારાઓને કડક કાર્યવાહી કરી ડામી દેવા વન વિભાગ-પોલીસ સંયુકતપણે એલર્ટ રહે
૭. રાજ્યમાંથી લુપ્ત થતી જતી વન્યપ્રાણી-પક્ષી પ્રજાતિઓ ઘોરાડ અને ખડમોર માટે વિશેષ બ્રીડીંગ સેન્ટર સ્થપાશે
૮. વન્યપ્રાણીઓમાં દેખાયેલા રોગચાળા સંદર્ભમાં તકેદારીના પગલાં અને તત્કાલ સારવાર માટે આગામી સમયમાં સમયાંતરે એનિમલ હેલ્થ સર્વેલન્સ તેમજ લાયન એમ્બ્યુલન્સ અને ર૪ કલાક હેલ્પલાઇન શરુ કરાશે.
મુખ્યમંત્રી વિજય રુપાણીએ વન્યપ્રાણી સૃષ્ટિ સાથોસાથ દરિયાઇ જીવ મરિન સૃષ્ટિના સંવર્ધન અને રક્ષણ માટે પણ વાઇલ્ડ લાઇફ બોર્ડનો વ્યાપ વધારવા માર્ગદર્શન આપ્યું હતું.
તેઓએ ગુજરાતમાં ઘોરાડ અને ખડમોર સહિતની અન્ય લુપ્ત થતી જતી પ્રજાતિના પક્ષીઓ, વન્યપશુઓના સંવર્ધન માટે વિશેષ ધ્યાન આપવાની સૂચનાઓ આપી હતી.
આ ઉપરાંત તેઓએ ગીરના જંગલોમાં ગેરકાયદે લાયન શોની બદીને કડક હાથે ડામી દેવા વન વિભાગ અને જિલ્લા પોલીસને સંયુકતપણે સર્તક રહેવા તથા આવું કૃત્ય કરનારાઓ સામે પાસા સુધીના કડક પગલાં લેવા પણ તાકીદ કરી હતી.
આ બેઠકમાં અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઊદ્યાન વિસ્તારની જમીનના બિનજંગલ ઉપયોગ માટે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ મંજૂરી મેળવવાની ર૯ દરખાસ્તોમાં હયાત માર્ગ વિસ્તરણ અને મજબૂતીકરણ, ઇલેકટ્રીક લાઇન નાખવાની, ઓપ્ટીકલ ફાઇબર કેબલ નાખવા સહિતની બાબતો પણ ચર્ચા-વિચારણા માટે રજૂ કરવામાં આવી હતી.