અમદાવાદ: ગુજરાતના વાહનચાલક મિત્રો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં વાહનચાલકો રાજ્યની કોઇપણ આર.ટી.ઓ. (RTO) કચેરીમાંથી ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવી શકશે. જેનાથી નાણાં, શક્તિ અને સમયની બચત થશે, એમ વાહનવ્યવહાર કમિશનર દ્વારા જણાવાયું છે.
રાજ્યના વાહનચાલકોએ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યા બાદ નોકરી, લગ્ન, ધંધા, રોજગાર અર્થે મૂળ કાર્યક્ષેત્રની બહાર જવું પડતું હોય છે. આ સંજોગોમાં ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પુરી થઇ જતી હોય છે. જેથી લાયસન્સને રિન્યુ કરાવવા માટે લાયસન્સ ધારકે પોતાની મૂળ આરટીઓ કચેરીમાં આવવું પડતુ હતું, જેના કારણે તેને અનેક મુશ્કેલી પડતી હતી. લાયસન્સ ધારકોની આ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અરજદારે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે
રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ આ નિર્ણયનો અમલ આજથી જ એટલે તા.૦૭/૦૬/૨૦૧૮થી અમલી થશે. જેના દ્વારા નાગરિકો પોતાના ડ્રાઇવિંગ લાયસન્સને રિન્યુ કરાવી શકશે તેમજ પોતાના લાયસન્સમાં નામ પણ બદલાવી શકશે. પરંતુ મૂળ લાયસન્સનો નંબર, હયાત વર્ગ, જન્મ તારીખ, ઇસ્યુ તારીખ બદલી શકાશે નહી.
આ માટે લાયસન્સ ધારક એટલે કે અરજદારે parivahan.gov.in વેબસાઇટ ઉપર જે આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવવા જવું હોય તે આરટીઓ કચેરીને સિલેક્ટ કરીને તે કચેરી પાસેથી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવાની જરૂરિયાત રહેશે તેમ પણ રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે જણાવ્યું હતું.