અમદાવાદ,
અમદાવાદમાં જ નહિ સમગ્ર રાજ્યમાં હાલ ભયંકર જળ સંકટ ચાલી રહ્યું છે. સરકાર દ્વારા પણ લોકોને જળ બચાવો જીવ બચાવોના નારા સાથે પાણીનો યોગ્ય પાને ઉપયોગ કરીને થતો વેડફાટ અટકાવવા માટે જણાવવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં તંત્રની જ ઘોર બેદરકારી સામે આવી છે.
શહેરમાં ચાલી રહેલા મેટ્રો પ્રોજેક્ટની કામગીરીના લીધે પાઈપલાઈનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણી વહી ગયું હતું. જે અંગે સંબંધિત તંત્ર વાહકો દ્વારા ઝડપથી કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા લોકોમાં નારાજગી પ્રસરી છે.
પ્રવર્તમાન સમયમાં માત્ર અમદાવાદ શહેર-જિલ્લામાં જ નહિ સમગ્ર રાજ્યમાં પાણીની ગંભીર કટોકટી ચાલી રહી છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા લોકોને પાણીની કરકસર કરવાની અપીલ કરવામાં આવી રહી છે. આ સંજોગોમાં બીજી તરફ અમદાવાદ શહેરમાં પાણીનો બેફામ વેડફાટ થતો જોવા મળ્યો છે.
અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમની પાછળના ભાગે રેલ્વે ટ્રેકની બાજુમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી ચાલી રહી છે. આ મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન કોઈ કારણસર પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ થયું હતું. પાણીની લાઈનમાં ભંગાણ થવાના કારણે રોડ ઉપર હજારો લીટર પાણી વહી ગયું હતું.
પાઈપલાઈનમાં ભંગાણ થવાના કારણે રસ્તા ઉપર વહી રહેલા પાણીના કારણે નવરંગપુરામાં ધોમધખતા ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક કલાકોથી પાઈપલાઈનમાં ભંગાણ થયું હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા નાગરિકોમાં ભારે નારાજગી પ્રસરી છે.