જસદણ તાલુકા સેવાસદન ખાતે જસદણ-વીંછિયા તાલુકાના સરપંચો ભેગા થયા હતા. કારણ કે જસદણમાં ગત તા.22 નવેમ્બરના રોજ આટકોટ રોડ ઉપર ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું. સ્નેહમિલનના દિવસે જ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવતા તે સ્નેહમિલન કાર્યક્રમ ચૂંટણી સભામાં ફેરવાઈ ગયો હતો.
સ્નેહમિલનના કાર્યક્રમ દરમિયાન રાજકોટ જસદણ-વીંછિયા તાલુકાના 70 ગામના સરપંચ કુંવરજી બાવળીયાને સમર્થન આપી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના હસ્તે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હોવાની જાહેરાત કરવામાં આવી હતી.
પરંતુ આજે શનિવારે જસદણ સરપંચ એસોસિએશનના પ્રમુખ સહિતના સરપંચોએ બે-પાંચ સરપંચ સિવાયના અન્ય કોઈ સરપંચ તેમાં જોડાયા નથી તેવો આક્ષેપ કરી ભાજપની જાહેરાતનો વિરોધ કરતા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
આ અંગે જસદણ-વીંછિયા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને બાખલવડ ગામના સરપંચ ગોપાલભાઈ પલાળીયાએ જણાવ્યું હતું કે, અમારે ભાજપ કે કોંગ્રેસ એકેય પક્ષ સાથે કોઈ લેવાદેવા નથી. ભાજપના સ્નેહમિલનમાં 70 સરપંચો જોડાયા તેવી જાહેરાત કરવામાં આવી હતી પણ તેમાં કદાચ બે-પાંચ સરપંચ ગયા હશે તેમાં અમે કોઈ સરપંચો નથી.