અમદાવાદ,
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભ્રષ્ટાચાર આચરનારા અધિકારીઓ પ્રત્યે સખ્તાઈ દાખવતાં એક મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે. તેમણે જૂનાગઢ મહાનગર પાલિકાના તત્કાલીન કમિશનર વી.જે રાજપૂત 2009 ની બેચના આઈ.એ.એસ અધિકારીને તેમણે જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર તરીકે આચરેલી ગેરરીતિઓ સન્દર્ભર્માં તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.
વી.જે રાજપૂત સામે મ્યુનિસિપલ કમિશનર તરીકેના તેમના કાર્યકાળ દરમ્યાન નરસિંહ મહેતા સરોવર બ્યૂટીફિકેશન ટેન્ડરમાં તેમજ ડસ્ટબીનની ખરીદીમાં તથા વૃક્ષારોપણની કામગીરીમાં ગેરરીતિ આચારીને ગેરવર્તન, ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ અને અપ્રમાણિકતા ભરી કામગીરી કરી હોવાના આક્ષેપોની ખાતાકીય તપાસ સોપવામાં આવી છે.
તદ્દઉપરાંત, તેમની સામે ઢોર પકડ શાખામાં ભ્રષ્ટાચાર કરી ખોટા બિલો બનાવવા અને વાહન હરાજીમાં સારા વાહનો વેચી દેવાની ગેરરીતિ અંગે પોલીસ તપાસ કરવાના આદેશો કર્યા છે.
મુખ્યમંત્રીએ તેમના કાર્યકાળમાં પ્રથમવાર રાજ્યના ઉચ્ચ સનદી અધિકારી-આઇ.એ.એસ. સામે આવી કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહિ, ભ્રષ્ટાચાર સામે સખ્તાઇપૂર્ણ રીતે પેશ આવીને એ.સી.બી.ને તેમણે વધુ આધુનિક ટેકનોલોજીથી સજ્જ કર્યુ છે.